ગુજરાતસુરત

જલ હી અમૃત’ મૂલ્યાંકનમાં સુરતનો દેશભરમાં ડંકો : 17 એસટીપીએ શ્રેષ્ઠ કામગીરીથી જીત્યું કેન્દ્રનું દિલ, વધુ રૂ. 27.23 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મંજૂર

સુરત: પર્યાવરણ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપનમાં સુરત મહાનગરપાલિકાએ ફરી એકવાર રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારત સરકારના AMRUT 2.0 મિશન અંતર્ગત હાથ ધરાયેલા ‘જલ હી અમૃત’ અભિયાનના ત્રીજા તબક્કાના મૂલ્યાંકનમાં સુરતના 17 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સે શ્રેષ્ઠ કામગીરી નોંધાવી છે. આ સિદ્ધિના બદલામાં કેન્દ્ર સરકાર દ્વારા સુરત મહાનગરપાલિકાને વધુ રૂ. 27.23 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ સાથે અત્યાર સુધીમાં મળેલી કુલ પ્રોત્સાહક રકમ રૂ. 100.55 કરોડ સુધી પહોંચી ગઈ છે.

19 એસટીપીને મળ્યું સર્વોચ્ચ 5-સ્ટાર રેટિંગ

જલ હી અમૃત અભિયાનના પ્રથમ અને દ્વિતીય તબક્કામાં સુરતના કુલ 20 પ્લાન્ટ્સમાંથી 19 એસટીપીને સર્વોચ્ચ 5-સ્ટાર રેટિંગ અને એક પ્લાન્ટને 4-સ્ટાર ક્લીન વોટર ક્રેડિટ રેટિંગ પ્રાપ્ત થયું હતું. આ ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે ગુજરાતને મળેલી કુલ રૂ. 114.63 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટમાંથી રૂ. 73.33 કરોડનો સિંહફાળો સુરત મહાનગરપાલિકાને ફાળવવામાં આવ્યો હતો.

ત્રીજા તબક્કામાં પણ સુરતનો દબદબો યથાવત

તાજેતરમાં જાહેર કરાયેલા ત્રીજા તબક્કાના મૂલ્યાંકનમાં સુરતના 17 એસટીપીએ પાણીના શુદ્ધિકરણ, પર્યાવરણીય ધોરણો અને સંચાલનની ગુણવત્તામાં શ્રેષ્ઠતા જાળવી રાખી છે. ગુજરાત રાજ્ય માટે મંજૂર થયેલી રૂ. 32.53 કરોડની ઇન્સેન્ટિવ ગ્રાન્ટમાંથી રૂ. 27.23 કરોડની રકમ સુરતના ફાળે આવી છે. રાજ્યના કુલ પ્રોત્સાહનમાં 83 ટકાથી વધુ હિસ્સો મેળવી સુરતે ફરી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

દરરોજ 1320 એમએલડી ગંદા પાણીનું શુદ્ધિકરણ

સુરત મહાનગરપાલિકા તેના અત્યાધુનિક 20 સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ મારફતે દરરોજ સરેરાશ 1320 એમએલડી ગંદા પાણીનું શુદ્ધિકરણ કરે છે. શુદ્ધ કરાયેલા પાણીનો મોટો હિસ્સો વધુ પ્રક્રિયા બાદ ઔદ્યોગિક વિસ્તારોને વ્યાપારી ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના કારણે પીવાના પાણીનો બગાડ અટકે છે અને પર્યાવરણને પણ મોટો ફાયદો થાય છે.

દેશ માટે રોલ મોડેલ બની સુરતની IFAS ટેકનોલોજી

આંજણા સ્થિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અમલમાં મૂકાયેલી ‘ઇન્ટિગ્રેટેડ ફિક્સ્ડ-ફિલ્મ એક્ટિવેટેડ સ્લજ (IFAS)’ ટેકનોલોજીએ દેશભરમાં નવી દિશા દર્શાવી છે. ઓછી જગ્યામાં અને ઓછા ખર્ચે વધુ અસરકારક રીતે ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવાની આ ટેકનોલોજીને હવે દેશના અન્ય શહેરોમાં પણ અપનાવવાની ભલામણ કરવામાં આવી રહી છે.

ગ્રીન એનર્જી અને આધુનિકીકરણ તરફ આગળ વધશે મનપા

કેન્દ્ર સરકાર તરફથી મળેલી રૂ. 100.55 કરોડની પ્રોત્સાહક ગ્રાન્ટનો ઉપયોગ હવે શહેરના સુએઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આધુનિક અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે કરવામાં આવશે. જૂના પ્લાન્ટ્સમાં નવી મશીનરી, ઓટોમેશન સિસ્ટમ તેમજ સોલાર અને વિન્ડ એનર્જી આધારિત પ્રોજેક્ટ્સ સ્થાપવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.

ટકાઉ અને ગ્રીન સિટી બનવા તરફ સુરતનો વધુ એક મજબૂત પગથિયો

ઝડપથી વધતા શહેરીકરણ વચ્ચે ગંદા પાણીના સંચાલનને પડકાર માનવામાં આવે છે, ત્યારે સુરતે તેને તકમાં ફેરવી દેશ માટે એક આદર્શ મોડેલ ઉભું કર્યું છે. આ રાષ્ટ્રીય સિદ્ધિ સુરતને ટકાઉ અને ગ્રીન સિટી તરીકે વધુ મજબૂત ઓળખ અપાવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button