સુરતના આંગણે ગુજરાત ગૌરવ દિન-૨૦૨૬ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી થશે
શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતો રોશનીથી ઝગમગી ઉઠી: શહેરમાં દિવાળી જેવો ઉત્સવભર્યો માહોલ

સુરત: ૧લી મે, ૨૦૨૬ના રોજ સુરતના આંગણે ગુજરાતના સ્થાપના દિવસની ‘ગુજરાત ગૌરવ દિન’ના રૂપમાં રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ગરિમામય અવસરની શરૂઆત તા.૧લીએ સાંજે ૦૫:૦૦ કલાકે વાય જંક્શન, વી.આર. મોલ, Y જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી આયોજિત પોલીસ પરેડથી થશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીગણ, મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
મહાનુભાવોનું આગમન બ્યુગલ, પાઇપ બેન્ડ અને અશ્વદળના એસ્કોર્ટ દ્વારા કરવામાં આવશે, ત્યારબાદ રાષ્ટ્રગાન અને પરેડ કમાન્ડર દ્વારા રિપોર્ટીંગ કરવામાં આવશે. પરેડના મુખ્ય આકર્ષણોમાં ભવ્ય માર્ચ પાસ્ટ, હર્ષધ્વનિ, મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાહસિક મોટરસાયકલ સ્ટંટ શોનો સમાવેશ થાય છે. આ પરેડને લોકો મોટી સંખ્યામાં નિહાળી શકે તે માટે વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.
પોલીસ પરેડ બાદ રાત્રે ૦૮:૦૦ કલાકે ડુમસ સી-ફેસ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં કલેક્ટર ડો.સૌરભ પારધી અને મ્યુ. કમિશનર ડો/એમ.નાગરાજન દ્વારા રાજ્યપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીગણ સહિતના મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવશે.
આ પ્રસંગે ‘ગુજરાત ગરિમા એવોર્ડ’ મેળવનાર પ્રતિભાવાન વ્યક્તિઓ તેમજ જિલ્લાના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવશે. આ સાથે સુરત જિલ્લાની વિકાસયાત્રાને દર્શાવતા બે પુસ્તકો ‘વિકાસ વાટિકા’ અને ‘કોફી ટેબલ’ બુકનું વિમોચન પણ કરવામાં આવશે.
રાજ્યકક્ષાના આ કાર્યક્રમની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. શહેરની સરકારી અને ઐતિહાસિક ઇમારતોને આકર્ષક રોશનીથી શણગારવામાં આવી છે. ઝગમગાટભર્યા માહોલના કારણે સમગ્ર શહેરમાં દિવાળી જેવો ઉત્સવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ડુમસ સી-ફેસ ખાતે તા.૧લીએ રાત્રે ૮.૦૦ વાગે ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમ
તા.૧લીએ રાત્રે ૮.૦૦ વાગે ડુમસ સી-ફેસ ખાતે ગુજરાત સ્થાપના દિનને યાદગાર બનાવવા માટે ‘ગૌરવવંતુ ગુજરાત, વિરાસતથી વિકાસ’ થીમ સાથે ભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજાશે. ૫૦ મિનિટની આ ભવ્ય સાંસ્કૃતિક મેગા ઇવેન્ટમાં રાજ્યની કલા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. આ કાર્યક્રમમાં ૨૫૦થી વધુ કલાકારો ઉપસ્થિત રહીને સુરતના ભૂતકાળથી લઈને વર્તમાન વિકાસ સુધીની યાત્રાને નાટકના રૂપમાં ભવ્ય લાઈટ અને સાઉન્ડના સમન્વય સાથે રજૂ કરશે. જેમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ના.મુખ્યમંત્રશ્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.



