બિઝનેસસુરત

આજે દુનિયાને ભારતના માર્કેટની જરૂરિયાત છે : કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા સાથે વર્તમાન ઔદ્યોગિક પરિસ્થિતિ વિષે ઉદ્યોગકારોની ચર્ચા સભા યોજાઇ

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ર૩ એપ્રિલ, ર૦ર૬ના રોજ બપોરે ૧રઃ૦૦ કલાકે ઉષાકાંત કંચનલાલ મારફતિયા હોલ, સરસાણા, સુરત ખાતે ભારત સરકારના શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી  મનસુખભાઇ માંડવીયા સાથે વર્તમાન ઔદ્યોગિક પરિસ્થિતિ વિષે સુરત સહિત દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારોની એક મહત્વપૂર્ણ ચર્ચા સભા યોજાઇ હતી.

ભારતના કેન્દ્રિય મંત્રી  મનસુખભાઇ માંડવીયાએ ઉદ્યોગકારોને સંબોધતા જણાવ્યું હતું કે, મહાજનોનું મહત્વ હંમેશા રહ્યું છે, આઝાદી પહેલા પણ અને પછી પણ. ઉદ્યોગપતિઓ વગર દેશની પ્રગતિ થતી નથી. સરકાર ઇન્ડસ્ટ્રીને મદદ કરે એ ગુનો નથી, સરકારે ઇન્ડસ્ટ્રી માટે કામ કરવાનું જ હોય. જે લોકો સંપત્તિનું સર્જન કરતા હોય છે તેઓનું સન્માન થવું જ જોઇએ. મહાજનો માટે આ વાત ચાણકય પછી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સમતોલ વિકાસ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે દેશની પ્રગતિ થઇ રહી છે. નવી રોજગારીનું સર્જન થઇ રહ્યું છે. ધંધા–રોજગાર દેશની અંદર વિકસી રહ્યા છે. એની સામે દેશનું જીડીપી વધી રહ્યું છે. લોકોની મિનિમમ આવકમાં પણ વધારો થઇ રહ્યો છે.

દેશમાં એક્ષ્પોર્ટ ઓરિએન્ટેડ બિઝનેસ તો થઇ જ રહ્યો છે પણ ભારત પોતે એટલું મોટું માર્કેટ બની રહ્યું છે કે આજે દુનિયાને ભારતના માર્કેટની જરૂરિયાત છે. અત્યારે મિડલ ઇસ્ટમાં યુદ્ધની જે પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે કોઇપણ દેશને ભારત સાથે સંબંધ બગાડવા નથી. કારણ કે, ભારતની અંદર બ્રેઇન પાવર અને સ્કિલ મેઇન પાવર છે. ભારતમાં અત્યારે સેલ્ફ મલ્ટીનેશનલ કંપનીઓ બની રહી છે. દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત છે અને બધા જ પ્રોફેશનલ ભારતમાં ઉપલબ્ધ છે.

ભારત સરકારે જીએસટી લાગુ કરી તેના દર ઘટાડયા બાદ સરકારની આવકમાં વધારો થયો છે. સરકારને દર મહિને રૂપિયા બે લાખ કરોડની જીએસટીની આવક થાય છે. દેશને વિકસિત ભારત બનાવવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. દેશમાં એરપોર્ટ, રેલ્વે લાઈન અને હાઇવે બનાવવા માટે એટલે ઇન્ફ્રાસ્ટ્રકચર પાછળ સરકાર રૂપિયા ૧ર લાખ કરોડનું બજેટ ફાળવી રહી છે. વિકસિત રાષ્ટ્રો એક દિવસમાં રર કિલોમીટર સુધી હાઇવે બનાવતા હતા, ભારત હાલ એકજ દિવસમાં ૩૧ કિલોમીટર સુધી હાઇવે બનાવી રહ્યું છે. ભારતમાં દરરોજ ૧પ કિલોમીટરની રેલ્વે લાઇન નંખાઇ રહી છે. એક દસકામાં ૧૦૦ જેટલા એરપોર્ટ દેશમાં વધ્યા છે.

કેન્દ્રિય મંત્રી  માંડવીયાજીએ વધુમાં જણાવ્યું હતું કે, અમેરિકાની ઇકોનોમી દર વર્ષે ૩ ટકાના દરે, ચાઇનાની ઇકોનોમી ૪ ટકાના દરે અને યુરોપની ઇકોનોમી ર ટકાના દરે ગ્રો કરી રહી છે ત્યારે ૧૪૦ કરોડની જનસંખ્યા ધરાવતો દેશ ભારતની ઇકોનોમી ૭થી ૮ ટકાના દરે ગ્રો કરી રહી છે. ભારતની સંપત્તિમાં વધારો થઇ રહ્યો છે. મેન્યુફેકચરિંગની સાથે સાથે રોજગાર વધી રહ્યો છે, લોકોની ખરીદશકિત વધી રહી છે. દેશમાં કન્ઝમ્પ્શન વધવાને કારણે જીડીપીમાં વધારો થઇ રહ્યો છે અને દેશ હવે વિકસિત ભારત બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે.

સુરતના વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ કેન્દ્રિય મંત્રી  મનસુખભાઇ માંડવિયાને વેપાર–ઉદ્યોગને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી.

ચેમ્બરના પૂર્વ પ્રમુખ  આશીષ ગુજરાતીની રજૂઆત

રિન્યુએબલ એનર્જી માટે ગુજરાત સરકાર ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસી બનાવે તેવી વિનંતી ગુજરાત સરકારને આપ કરશો. મેટાલિક જરી પર જીએસટી રિફંડ મળે તે અંગે રજૂઆત કરી હતી. ત્રણ વર્ષથી વધારે કામ કરનાર કર્મચારીઓનું સ્કિલ મેપીંગ કરીને તેમને સ્કિલ ડેવલપમેન્ટ વિભાગ સર્ટિફિકેટ આપે.

કેન્દ્રિય મંત્રીનો જવાબઃ સરકાર સ્કિલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. ઇન્ડસ્ટ્રી દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ ચલાવવામાં આવે અને સરકાર તરફથી તેઓને નાણાકીય સહાય આપવામાં આવે તે દિશામાં વિચારણા ચાલી રહી છે. સાથે જ, સ્કિલિંગ ક્ષેત્રમાં ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા વ્યક્તિઓને સરકાર તરફથી સર્ટિફિકેટ આપવામાં આવે તે રજૂઆત પણ સારી છે. આ અંગે સકારાત્મક દિશામાં વિચારીશું.

ટેક્ષ્ટાઇલ ઉદ્યોગપતિ પ્રમોદ ચૌધરીની રજૂઆત

સુરત ટેક્ષ્ટાઇલ હબ હોવાને કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમજીવીઓ કાર્યરત છે, તેથી તેમના માટે આવાસ બનાવવા હેતુ સરકાર જમીનની ફાળવણી કરે. ત્યારબાદ સરકાર અને ઇન્ડસ્ટ્રીની ભાગીદારીથી શ્રમજીવીઓ માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત શ્રમજીવીઓ માટે દરેક ઔદ્યોગિક વિસ્તારમાં હોસ્પિટલ અને તેમના બાળકોના શિક્ષણની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ લેબર વેલ્ફેર માટે યોગ્ય પોલિસી બનાવવામાં આવે. સુરતથી સિંગાપોર, હોંગકોંગ, ચાઇના તથા યુરોપ માટે સીધી ફ્‌લાઇટ્‌સ શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી હતી.

કેન્દ્રિય મંત્રીનો જવાબઃ શ્રમજીવીઓ માટે આવાસ, હોસ્પિટલ જેવી સુવિધાઓ ઔદ્યોગિક વિસ્તારો મુજબ વિકસાવવામાં આવે તે અંગે સકારાત્મક અભિગમ દર્શાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ મેનેજમેન્ટ સરકારને બદલે ખાનગી કંપની સંભાળે અને સરકાર દ્વારા તમામ ખર્ચ ઉપરાંત ૧૦ ટકા વધારાનો બેનિફિટ આપવામાં આવે તેવી યોજના પર વિચારણા ચાલી રહી છે.

ચેમ્બરના ગૃપ ચેરમેન  મનીષ કાપડીયાની રજૂઆતઃ સુરતમાં મલ્ટીગેમ સ્ટેડિયમના નિર્માણ તેમજ સુરતથી ઘોઘાની જેમ પીપાવ સુધી રો–રો ફેરી સેવા શરૂ કરવામાં આવે.

ચેમ્બરની એવિએશન કમિટીના ચેરમેન શ્રી લિનેશ શાહની રજૂઆતઃ વિદેશી એરલાઇન્સ સુરત આવવા તૈયાર છે તેના માટે એવિએશન મિનિસ્ટ્રી સાથે બેઠક ગોઠવી આપવાની રજૂઆત કરી હતી.

કેન્દ્રિય મંત્રીનો જવાબઃ અમારા મંત્રાલયનો સંપર્ક કરો, અમે એવિએશન મિનિસ્ટ્રી સાથે તમારી મિટીંગ ગોઠવી આપીશું.

ચેમ્બરની એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હઝબન્ડરી કમિટીના ચેરમેન  કે.બી. પિપલીયાની રજૂઆતઃ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ભેળસેળ વધી રહી છે. નકલી પનીરની ફેકટરીઓ પકડાઇ રહી છે ત્યારે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

કેન્દ્રિય મંત્રીનો જવાબઃ નકલી સામગ્રી બનાવનારાઓ સામે પગલા ભરવા માટે કાયદાઓ બનેલા જ છે, કડક પાલન કરાવીશું.

ચેમ્બરની લેબર લો કમિટીના ચેરમેન  સોહેલ સવાણીની રજૂઆતઃ નવા મજૂર કાયદાની ઝડપથી અવેરનેસ કરવામાં આવે.

કેન્દ્રિય મંત્રીનો જવાબઃ નવા મજૂર કાયદાની સમજ માટે વર્કશોપનું આયોજન કરો, શ્રમ વિભાગના અધિકારીઓ ઇન્ડસ્ટ્રીને માર્ગદર્શન આપશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  નિખિલ મદ્રાસીએ સ્વાગત સંબોધન કર્યું હતું. ચેમ્બરના ઉપપ્રમુખ  અશોક જીરાવાલાએ ચર્ચા સભામાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના પૂર્વ પ્રમુખ  દિનેશ નાવડિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના માનદ્‌ મંત્રી  બિજલ જરીવાલાએ ચર્ચા સભાનું સમગ્ર સંચાલન કર્યું હતું.

ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ  વિજય મેવાવાલા, માનદ્‌ ખજાનચી સીએ મિતિષ મોદી, પૂર્વ પ્રમુખ સીએ પી.એમ. શાહ, ગૃપ ચેરમેન  નિરવ માંડલેવાલા, મેનેજિંગ કમિટીના સભ્યો તથા વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ચર્ચા સભામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button