ધર્મ દર્શનસુરત

સુરતમાં “શ્રી શ્યામ ચલે નનિહાલ” કીર્તન સંધ્યા સાથે કલેશ્વરી ધામના પુનર્જાગરણનો મહાસંકલ્પ

ઐતિહાસિક અને આધ્યાત્મિક ધરોહરનું પુનર્નિર્માણ કરવા ભવ્ય ભજન સંધ્યા—કનૈયા મિત્તલની ભક્તિમય રજૂઆત રહેશે આકર્ષણનું કેન્દ્ર

સુરત: મહીસાગર જિલ્લાના અરવલ્લી પર્વતમાળાની ગોદમાં આવેલું પ્રાચીન અને પવિત્ર માં કલેશ્વરી માતા મંદિર પરિસર હવે તેના ઐતિહાસિક પુનર્જાગરણ તરફ આગળ વધી રહ્યું છે. આ દિવ્ય હેતુને સાકાર કરવા સુરત શહેરમાં ભવ્ય “શ્રી શ્યામ ચલે નનિહાલ” કીર્તન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશપ્રસિદ્ધ ભજન ગાયક કનૈયા મિત્તલ પોતાની ભાવભીની રજૂઆતથી ભક્તોને ભાવવિભોર કરશે.

માં કલેશ્વરી માતાજીનું આ પવિત્ર ધામ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લવાના ગામની સીમામાં આવેલું છે, જેને પ્રાચીન સમયમાં “હિડિંબા વન” તરીકે ઓળખવામાં આવતું હતું. દસમીથી પંદરમી સદી સુધીનો ઇતિહાસ ધરાવતું આ સ્થાન આજે પણ તેના પ્રાચીન અવશેષો અને શિલ્પકળા દ્વારા વૈભવી ભૂતકાળની સાક્ષી આપે છે. પરિસરમાં ભીમ ચોરી, અર્જુન ચોરી, પ્રાચીન શિવ મંદિર અને અનેક ઐતિહાસિક અવશેષો આવેલા છે. માન્યતા મુજબ આ સ્થળ મહાભારતના અજ્ઞાતવાસ સાથે સંકળાયેલું હોવાથી તેની ધાર્મિક મહત્તા વિશેષ છે.

માં કલેશ્વરી માતાજી અનેક સમાજોની કુળદેવી તરીકે પૂજાય છે. ગુજરાતના લેઉવા પાટીદાર, દરજી, ગરાસિયા અને રાવત સમાજ ઉપરાંત મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના અનેક સમુદાયોમાં પણ આસ્થા કેન્દ્ર તરીકે સ્થાન ધરાવે છે. જન્માષ્ટમી અને મહાશિવરાત્રી જેવા પર્વો દરમિયાન અહીં લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.સમયના પ્રહાર અને કુદરતી અસરોથી ધામનો મોટો ભાગ ખંડિત થઈ જતા હવે સંસ્થાએ ભવ્ય પુનર્નિર્માણનો મહાસંકલ્પ લીધો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ભવ્ય મંદિર નિર્માણ સાથે શ્રી શ્યામજી અને નીમ કરોલી બાબાના મંદિરો, આધુનિક ધર્મશાળા અને વૈદિક સંસ્કૃતિ સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવાની યોજના છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર, વિર બરબરીકજીની માતા મૌરવીએ અહીં માતા કલેશ્વરીની આરાધના કરી હતી અને પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન આ ક્ષેત્રમાં નિવાસ કર્યો હતો. આ તમામ કથાઓ આ સ્થાનને વિશેષ આધ્યાત્મિક મહત્તા આપે છે.
આ ભક્તિમય કીર્તન સંધ્યા દ્વારા સંસ્કૃતિ જાગૃતિ અને સમાજને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આયોજકોએ સુરત સહિત આસપાસના તમામ શ્રદ્ધાળુઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા અને યથાશક્તિ યોગદાન આપવા અપીલ કરી છે.

આ કાર્યક્રમ માત્ર ભજન સંધ્યા નહીં પરંતુ સંસ્કૃતિને ફરી જીવંત બનાવવાનો એક મહાયજ્ઞ બની રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button