અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા આયોજિત નેત્ર શિબિરમાં ૨૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની તપાસ થઈ

ભરૂચ, દહેજ: અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા સંચાલિત ‘ઉત્થાન’ પ્રોજેક્ટ હેઠળની દહેજ અને તેની આસપાસના વિસ્તારની ૧૪ શાળાઓમાં નેત્ર તપાસ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ ૨૦૨૨ વિદ્યાર્થીઓની આંખોની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ૨૯૪ વિદ્યાર્થીઓમાં દ્રષ્ટિના નંબર હોવાનું નિદાન થયું હતું, જે તમામ વિદ્યાર્થીઓને અદાણી ફાઉન્ડેશન તરફથી જરૂરિયાત મુજબના ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
આ નિદાન કેમ્પ દરમિયાન આશ્ચર્યજનક બાબત એ સામે આવી હતી કે આઠ જેટલા વિદ્યાર્થીઓ એક આંખે સંપૂર્ણ અંધત્વ (Blindness) ધરાવતા હતા. આ બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને તેવા ઉમદા હેતુથી અદાણી ફાઉન્ડેશન દ્વારા આ આઠેય વિદ્યાર્થીઓની આગળની સંપૂર્ણ સારવાર કરાવવા માટેની વિશેષ પહેલ કરવામાં આવી છે.
આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આંખના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવી, ખામીઓનું સમયસર નિદાન કરવું અને તેમને ગુણવત્તાસભર શિક્ષણ મેળવવામાં સહાયરૂપ થવાનો છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા અદાણી ફાઉન્ડેશનને ખાસ વિનંતી કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓને અભ્યાસમાં જોવા, વાંચવા અને લખવામાં ખૂબ તકલીફ પડી રહી છે. જેને ધ્યાને રાખીને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના સહયોગથી દહેજ અને આસપાસની ૧૪ શાળામાં નેત્ર તપાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અદાણી ફાઉન્ડેશન દ્વારા સમાજમાં આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવતી આ સતત સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓએ બિરદાવી હતી. આ સાથે જ તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રવિણ સિંહ દ્વારા પણ આ માનવતાવાદી કાર્ય બદલ અદાણી ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



