
સુરત – લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 100 વર્ષ જૂના રિવરસાઇડ સ્ટુડિયોને કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે બદલવાના વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલના વિઝનની પ્રશંસા કરી છે. થેમ્સ નદીના ઉત્તર કિનારે આવેલા આ પ્રતિષ્ઠિત ગ્લોબલ સેન્ટર ફોર આર્ટ્સ ખાતે ઉપસ્થિત મેદનીને સંબોધતા બિરલાએ જણાવ્યું હતું કે આ સ્ટુડિયો વિશ્વભરના કલાકારો અને પર્ફોર્મસ્ને એક પ્લેટફોર્મ પૂરું પાડશે. વિવિધ ખંડોમાં કલા, સંસ્કૃતિ અને નવીનતાને જોડતી એક મહત્વપૂર્ણ પહેલમાં વેદાંતા ગ્રુપના સ્થાપક અને ચેરમેન અનિલ અગ્રવાલ હવે આ આઇકોનિક રિવરસાઇડ સ્ટુડિયોના માલિક બન્યા છે.
શ્રી બિરલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે આવા પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર કલા અને સંસ્કૃતિને પ્રમોટ કરવાના તેમના પ્રયાસો બદલ હું શ્રી અગ્રવાલનો આભાર માનું છું. વિશ્વભરના કલાકારોને લંડનમાં તેમના વિશ્વની કલા અને સંસ્કૃતિને દર્શાવવા માટેની તક મળશે. રિવરસાઇડ સ્ટુડિયો ટ્રસ્ટ પોતાની પ્રતિભા બતાવવા માટે આવા કલાકારો માટેનું વૈશ્વિક મંચ બનશે.
આ પ્રસંગે પોતાનો આભાર વ્યક્ત કરતા વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે ઓમ બિરલાનું રિવરસાઇડ સ્ટુડિયો ખાતે સ્વાગત કરતા અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ. તેમનું દૂરંદેશીપણું અને નેતૃત્વ કેવળ આર્થિક સહયોગ દ્વારા જ નહીં પરંતુ આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાની ઉજવણી અને જતન દ્વારા પણ ભારત અને યુકે વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા પર સતત કામ કરવા આપણને પ્રેરિત કરે છે.
લોકસભા સ્પીકરે શિક્ષણ, મહિલા સશક્તિકરણના ક્ષેત્રે તથા નંદઘરમાં આંગણવાડીઓની કાયાપલટ કરીને બાળકોના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાના વેદાંતાના અગ્રેસર પ્રયાસોની પણ સરાહના કરી હતી.તેમણે નોંધ્યું હતું કે નંદઘર બાળકોને મફત શિક્ષણ અને પોષણ આપે છે. આવા પગલાં સમાજના સુવિધાઓથી વંચિત વર્ગોના ઉત્થાન માટે ખૂબ જરૂરી છે.