ધર્મ દર્શનસુરત
હીરા ઉદ્યોગપતિનો 18 વર્ષીય પુત્ર સંયમના માર્ગે, મોંઘા ચશ્મા અને રિયલ ડાયમંડ જ્વેલરીનો શોખીન જશ મહેતા હવે પરમ સત્યની શોધમાં દીક્ષા ગ્રહણ કરશે
આજે પાલ ખાતે જશ મહેતાની વર્ષીદાન યાત્રા માં મોટી સંખ્યામાં ભાવિક ભગતો જોડાયા

સુરત: હીરાનગરી સુરત, જે ભૌતિક સંપત્તિ અને વૈભવ માટે જાણીતી છે, ત્યાંથી ત્યાગ અને વૈરાગ્યનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીનભાઈ મહેતાના 18 વર્ષીય પુત્ર જશ મહેતાએ સંસારના તમામ સુખોને ત્યજીને સંયમનો કઠિન માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે.

ચોંકાવનારી વાત એ છે કે જશને લક્ઝુરિયસ જીવનશૈલી, મોંઘા આઇફોન અને ખાસ કરીને રિયલ ડાયમંડની ઘડિયાળો અને જ્વેલરીનો જબરદસ્ત શોખ હતો. તે હવે બધું ત્યજીને મોક્ષના માર્ગે નીકળી રહ્યો છે.
આગામી 23 તારીખે સુરતના પાલ વિસ્તારમાં એક ભવ્ય દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં જશ મહેતા ભક્તિયોગાચાર્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે.



