ગુજરાતસુરત

સુરતમાં રચાશે ઈતિહાસ: સવા લાખ નાગરિકો એક સાથે એક જ સ્થળે યોગાભ્યાસ કરીને વિશ્વ વિક્રમ સર્જશે

યોગ દિવસની ઉજવણીનું કાઉન્ટડાઉન: વેસુના વાય જંક્શન ખાતે યોજાનારા "વિશ્વ યોગ દિવસ"ની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો

સુરતઃ તા.૨૧મી જૂન-આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત સુરતના વેસુ ખાતે યોજાનાર રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સવા લાખ નાગરિકો એક સાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાઈ વિશ્વ વિક્રમ સર્જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનાર આ રાજ્યકક્ષાની ઉજવણીમાં કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી  દર્શનાબેન જરદોશ, ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ સી.આર.પાટીલ, યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. સુરતમાં સવારે તા.૨૧મીએ સવારે ૬.૦૦ થી ૮.૦૦ દરમિયાન યોગપ્રેમીઓના સામૂહિક યોગથી ઈતિહાસ રચાશે.

યોગ દિવસની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. રાજ્યકક્ષાની યોગદિનની ઉજવણી માટે જિલ્લા વહીવટીતંત્ર, સુરત મહાનગરપાલિકા સજ્જ બન્યું છે અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમારના માર્ગદર્શનમાં વાય જંક્શન ખાતે યોજાનારા રાજ્યસ્તરીય યોગ દિવસની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. શહેરના મગદલ્લા પાસેના વાય જંકશન ખાતેથી બ્રેડલાઈનર સર્કલ તથા SVNIT સર્કલ સુધી ૧૨ કિ.મી.સુધીના રસ્તા ઉપર સવારે ૬.૦૦ થી ૮.૦૦ વાગ્યા સુધી નાગરિકો યુવાનો, મહિલાઓ યોગદિવસની ઉજવણીમાં જોડાશે. આ કાર્યક્રમમાં અંદાજે ૧૨૫ જેટલા બ્લોક બનાવવામાં આવ્યા છે, જ્યાં અંદાજે ૧.૨૫ લાખ લોકો એક સાથે યોગ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે.

જિલ્લા વહીવટીતંત્ર અને સુરત મનપા દ્વારા કાર્યક્રમ સ્થળે કોમન યોગ પ્રોટોકોલને લગતી આનુશાંગિક વ્યવસ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ સહિત લાઈવ સ્ક્રીન અંગેની સુચારૂ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. યોગમાં જોડાનાર નાગરિકોના હાથ પર ક્યુ-આર કોડ સાથેની રિસ્ટબેન્ડ બાંધવામાં આવશે. સુરતવાસીઓ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા આતુર છે, ત્યારે સુરત તા.૨૧મીએ યોગમય બનશે. સુરતવાસીઓ સાથે મળી યોગસાધનાથી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન સાથે રાજ્ય તેમજ દેશને યોગના માધ્યમથી ‘ફીટ ઇન્ડિયા’નો સંદેશ આપશે.

વડાપ્રધાન અને મુખ્યમંત્રી પ્રેરક સંબોધન કરશે

મુખ્યમંત્રી સવારે ૬.૩૦ કલાકે સુરતથી રાજ્યના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે, જેનુ જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે.દેશભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સવારે ૬.૪૦ કલાકે વર્ચ્યુઅલી દેશવાસીઓને સંબોધશે, જેનુ પણ જીવંત પ્રસારણ રાજયભરમાં યોજાનાર કાર્યક્રમોમાં કરાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button