ધર્મ દર્શનસુરત

ગોપીપુરા: ભક્તિ, સંસ્કૃતિ અને ઇતિહાસનું તીર્થસ્થાન ફરી જીવંત કરવા જૈન સમાજની નેમ, ઉર્જા ભૂમિના ઉદ્ઘાટન માટે દાનની સરવાણી વહી

૧૫,૦૦૦થી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય બેઠક; વિવિધ ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમોની આયોજન યાત્રાનો પ્રારંભ

સુરત: સુરત શહેરનું ગૌરવ ગણાતું ગોપીપુરા માત્ર એક વિસ્તાર નહીં, પરંતુ ભક્તિ, સંસ્કૃતિ અને ઇતિહાસની જીવંત ધરોહર તરીકે ઓળખાય છે. સદીઓથી આધ્યાત્મિક ઊર્જાથી ધબકતું ગોપીપુરા ભક્તોને એક અનોખો દિવ્ય અનુભવ કરાવતું તીર્થસ્થાન છે. અહીં આવનાર દરેક વ્યક્તિ માટે આ સ્થાન માત્ર દર્શન નહીં, પરંતુ આત્માની અનુભૂતિ બની રહે છે.

તાજેતરમાં ગોપીપુરામાં ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે ૧૫,૦૦૦થી વધુ ભક્તો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રાના પ્રારંભમાં હજારોની સંખ્યા માં ભક્તો જોડાયા હતા અને વિવિધ પાઠશાળા માંથી 1500 થી વધુ બાળકો ઉત્કૃષ્ટ પ્રકારની વેશભૂષામાં સજ્જ થઈને આવ્યા હતા આમ સુંદર માહોલ સાથે આનો પ્રારંભ થયો હતો

આ આયોજન દ્વારા શહેરના મૂળ જૈનોની આસ્થાનું કેન્દ્ર એવા ગોપીપુરા વિસ્તારને ફરી તેની ખરી ઓળખ આપવાનું આયોજન છે. આ સાથે આ કાર્યક્રમમાં સહસ્ત્રફના દાદાની પધરામણી અને નૃત્યોત્સવ અને આનંદોત્સવ ઉજવાયો હતો. વિવિધ વક્તાનું વક્તવ્ય, સંગીત અને સંવેદનાની વૃષ્ટિ થઈ હતી. આ સાથે આ સમગ્ર કાર્યક્રમના આયોજનના પ્રથમ તબક્કા માટે વિવિધ શ્રાવકો દ્વારા માતબર દાન આપવામાં આવ્યું હતું જેની સાથે શ્રાવિકાઓ દ્વારા પણ સ્વર્ણ દાન કરવામાં આવ્યું હતું. ઉર્જા ભૂમિના દાનની સરવાણી વહી હતી.

આ બેઠકમાં આગામી સમયમાં ગોપીપુરા વિસ્તારના વિકાસ તથા ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન આપવા માટે વિવિધ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગોપીપુરા વિસ્તારમાં કુલ ૪૪ દેરાસરો આવેલા છે, જે તેને એક વિશિષ્ટ ધાર્મિક કેન્દ્ર તરીકે ઓળખ આપે છે. આ દેરાસરોમાં દરરોજ ભક્તિભાવથી ભરપૂર પ્રવૃત્તિઓ યોજાતી રહે છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનુભવ કરાવે છે.

આ આયોજનના પ્રથમ તબક્કામાં અમદાવાદ, વડોદરા અને સુરતના આગેવાન શ્રેષ્ઠીઓ દ્વારા સહયોગ આપવામાં આવી રહ્યો છે. વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સમાજલક્ષી કાર્યક્રમો દ્વારા ગોપીપુરાને વધુ સક્રિય અને પ્રેરણાદાયક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

વિવિધ પ્રકારના આયોજન અને એ પણ તબક્કાવાર આયોજન થકી તળ સુરતની સાચી ઓળખાણ જે ગોપીપુરા થી જ ઓળખાઈ છે તેને ફરી પુનર્જીવિત કરવાનો પ્રયત્ન જૈન સમાજ દ્વારા આરંભાયો છે. આ પ્રસંગે ભક્તોને ગોપીપુરાની પવિત્રતા અને આધ્યાત્મિકતા અનુભવવા માટે અહીં પધારવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button