સુરત-નવસારીના યંગસ્ટરોના ‘વન બ્લડ અનાવિલ ગ્રુપે’ ૪ વર્ષમાં ૪૭ કેમ્પ યોજી ૩૪૭૨ યુનિટ રક્ત એકત્ર
વન બ્લડ અનાવિલ ગ્રુપ’ના સ્વયંસેવકો ઇમરજન્સીમાં ૨૯૧ યુનિટ બ્લડ ડોનેટ કરીને દર્દીઓને વ્હારે આવ્યા

સુરત: સમાજમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે અને લોકો રક્તદાનની પ્રવૃત્તિ સાથે જોડાઈને અન્યને પ્રેરિત કરે તેવા આશયથી વર્ષ ૨૦૨૦માં સુરત-નવસારીના યંગસ્ટરો દ્વારા ‘વન બ્લડ અનાવિલ ગ્રુપ’ની સ્થાપના કરવામાં આવી હતી અને જોતજોતામાં આજદિન સુધી ફકત ચાર વર્ષમાં ૪૭ કેમ્પ યોજી ૩૪૭૨ યુનિટ રક્ત તથા ઇમરજન્સીમાં ૨૯૧ યુનિટ રક્ત આપીને લોકોના જીવ બચાવવામાં મદદરૂપ બન્યા છે.
ઈમરજન્સીના સમયે દર્દીઓએ રક્ત માટે ભટકવું ન પડે અને સરળતાથી રક્ત મળી રહે તેવા ઉમદા વિચાર સાથે વર્ષ ૨૦૨૧ માં ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે પ્રથમ રક્તદાન શિબિર યોજી ૩૫૦ યુનિટ રક્ત એકત્ર કરી વન બ્લડ અનાવલ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતી.
કોવિડ- ૧૯ની બીજી લહેરમાં હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓની રક્તની માંગને પહોંચી વળવા માત્ર ૧૨ દિવસમાં ૧૭ રક્તદાન કેમ્પ યોજી ૫૫૧ યુનિટ રક્ત એકત્ર કરી જૂદી જૂદી બ્લડ બેન્કમાં અર્પણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તેમજ L&Tના ગ્રુપ ચેરમેન અનિલભાઈ નાયકના જન્મદિન પ્રસંગે યોજાયેલ રક્તદાન શિબિરમાં ૫૬૦ યુનિટ રક્ત એકત્ર કરાયુ હતું. સુરત સહિત નવસારી, વલસાડ જિલ્લામાં પણ રક્તદાન કેમ્પનું ઓયાજન કરીને રક્તની ધારાને અવિરત વહેતી રાખવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
આ ગ્રુપ માત્ર રક્તદાન શિબિર સુધી સીમિત ન રહેતા આવનારી પેઢી સ્વસ્થ રહે અને ભવિષ્યમાં રક્તને લગતી કોઈ સમસ્યા ન થાય તેના માટે બાળકોમાં તેમાં પણ ખાસ કરીને આદિવાસી અને ગરીબ બાળકોના થેલેસેમિયા, સિકલસેલ તથા CBC ટેસ્ટ કરી નિષ્ણાત તબીબો થકી જરૂરી દવા તથા માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
આજના ડિજિટલ યુગમાં રક્તદાતાઓ અને જરૂરિયાતમંદ દર્દીઓની સરળતા માટે મોબાઈલ એપ બનાવી એક કદમ આગળ વધી રહ્યા છે. ગ્રુપની કરોડરજ્જુ સમાન સ્વયંસેવકો ૨૪x૭ રક્તદાનના કાર્ય માટે સતત તત્પર હોય છે.



