
સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) દ્વારા સરસાણા સ્થિત એસપીબી હોલ ખાતે ‘સુરત મેગા પ્રોજેક્ટ સિરીઝ’ના પ્રથમ ઍપિસોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ સત્રમાં નવા સુરત રેલવે સ્ટેશનના ચીફ આર્કિટેક્ટ શ્રી ગુરપ્રીત એસ. શાહ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સ્ટેશનના આધુનિક માળખા અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
સુરતનો વિકાસ લોકોનાં સપનાઓનું પ્રતિબિંબ: અશોક જીરાવાલા
“સુરત સ્વચ્છતા, ટેક્સટાઇલ, હીરા અને આર્થિક વિકાસના દરેક મોરચે આજે દેશભરમાં નંબર વન સ્થાન ધરાવે છે. કોઈપણ શહેર માત્ર ઈંટો, લોખંડ કે સિમેન્ટનું નિર્જીવ માળખું નથી હોતું, પરંતુ તે તેના નાગરિકોના સાહસ, નવીન વિચારધારા અને અદમ્ય ખુમારીથી જીવંત બને છે. વિકાસની આ વણથંભી યાત્રા વચ્ચે સુરતનું આ નવું રેલવે સ્ટેશન પણ સમગ્ર દેશમાં એક અનોખું અને વિશિષ્ટ લેન્ડમાર્ક સાબિત થશે, જે સુરતના વૈશ્વિક ગૌરવમાં સોનેરી પીંછું ઉમેરશે.”
એરપોર્ટ જેવો લૂક અને 40 હજાર પેસેન્જર હૅન્ડલિંગ ક્ષમતા: ગુરપ્રીત શાહ
મુખ્ય આર્કિટેક્ટ ગુરપ્રીત એસ. શાહે જણાવ્યું હતું કે, “અમદાવાદ કરતાં સુરત સ્ટેશનનું નિર્માણ વધુ પડકારજનક છે, કારણ કે ધમધમતા પેસેન્જર ટ્રાફિક અને ટ્રેનોની અવરજવર વચ્ચે આ વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આકાર લઈ રહ્યું છે. આશરે 75 વર્ષ બાદ પુનઃનિર્માણ પામી રહેલું આ સ્ટેશન પોતાની સ્થાપત્યકળા અને વ્યવસ્થાપનમાં દેશભરમાં અનોખું બની રહેશે. 3.42 લાખ ચોરસ મીટર (લગભગ 40 લાખ સ્ક્વેર ફીટ)ના વિશાળ વિસ્તારમાં નિર્માણ પામી રહેલા આ પ્રોજેક્ટમાં મુસાફરોને એરપોર્ટ જેવી લક્ઝરી અને સુગમતા પૂરી પાડવા અરાઇવલ અને ડિપાર્ચરનું સંપૂર્ણ અલગ અને સુવ્યવસ્થિત મેનેજમેન્ટ ગોઠવવામાં આવશે.”
તેમણે આ પ્રોજેક્ટના મુખ્ય પાસાઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે:
• G+4 કોન્કોર્સ અને મલ્ટી-મૉડલ કનેક્ટિવિટી: સ્ટેશન પર G+4 માળનો વિશાળ કોન્કોર્સ તૈયાર થશે, જે પૂર્વ અને પશ્ચિમ બંને ભાગને સીધા GSRTC બસ ટર્મિનલ સાથે જોડશે. બંને તરફ થઈને અંદાજે 2,400 કારના પાર્કિંગની વ્યવસ્થા રહેશે.
• પીક અવર્સ હૅન્ડલિંગ અને ભીડ નિયંત્રણ: હાલની 11 હજાર મુસાફરોની ક્ષમતા સામે નવું સ્ટેશન એક સમયે 40 હજાર મુસાફરોને સંભાળી શકશે. ભીડ નિયંત્રણ માટે મુસાફરોને ટ્રેનના સમયથી 45 મિનિટ પહેલાં જ પ્લેટફોર્મ એરિયામાં પ્રવેશ અપાશે.
• ઇકો-ફ્રેન્ડલી ડિઝાઇન: કોન્કોર્સમાં મોટા ગ્લાસ લગાવવામાં આવશે જેથી કુદરતી પ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય અને વીજળી બચે. સમગ્ર પરિસરમાં ટેમ્પરેચર કંટ્રોલ તેમજ દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
• 8 પ્લેટફોર્મની ક્ષમતા: જગ્યાની મર્યાદાને ધ્યાને રાખી 4+2+2 ના કોમ્બિનેશન સાથે કુલ 8 પ્લેટફોર્મની વ્યવસ્થા કાર્યરત કરાશે.
હાઇટેક સિક્યુરિટી: એરપોર્ટ સ્તરની ફાયર-એલાર્મ સિસ્ટમ, સ્કાડા, બિલ્ડિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, CCTV, બેગેજ સ્કેનર, DFMD અને સેલ્ફ ટિકિટિંગ મશીનોથી સ્ટેશન સજ્જ હશે. આ ઉપરાંત આસપાસના 80 એકર વિસ્તારમાં કોમર્શિયલ વિકાસ અને જાહેર સુવિધાઓ વિકસાવાશે.
કાર્યક્રમમાં ચેમ્બરના માનદ્ મંત્રી પરેશ લાઠિયા, માનદ્ ખજાનચી અતુલ પટેલ તેમજ વિવિધ ગ્રૂપ ચેરમેનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રૂપ ચેરમેન સંજય પંજાબીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને IIAના સેક્રેટરી નીલકંઠ બુરખાવાલાએ વક્તાનો પરિચય કરાવ્યો હતો. આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ એન્ડ અર્બન પ્લાનર્સ કમિટીનાં કો-ચેરમેન કૃતિકા શાહે સંચાલન કર્યું હતું, જ્યારે ICEAના પ્રમુખ પિનાક દેસાઈએ આભારવિધિ સંપન્ન કરી હતી.



