
ઉમરપાડા, સુરત : અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સુપોષણ પ્રોજેક્ટે ઉમરપાડા તાલુકામાં વિશ્વ સ્તનપાન સપ્તાહ નિમિત્તે તા. 1 થી 7 ઓગસ્ટ દરમિયાન જનજાગૃતિ અભિયાનનું સફળ આયોજન કર્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળકના આરોગ્ય માટે સ્તનપાનના મહત્વ અંગે જાગૃતિ કેળવવાનો હતો.
આ સપ્તાહ દરમિયાન સુપોષણ સંગીનીઓએ વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે પરિવાર પરામર્શ, સમૂહ ચર્ચા, અને પૌષ્ટિક વાનગીઓના જીવંત પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું. કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા બહેનો માટે ક્વિઝ સ્પર્ધા યોજાઈ, જેમાં સ્તનપાનને લગતા પ્રશ્નો પૂછી વિજેતાઓને પ્રોત્સાહક ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રો પર ‘સહાયક ડેસ્ક’ ઊભું કરાયું, જ્યાં સગર્ભા અને ધાત્રી માતાઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
નિષ્ણાતોએ જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, છ મહિના સુધી માત્ર માતાનું દૂધ (Exclusive Breastfeeding) અને બે વર્ષ સુધી સ્તનપાન ચાલુ રાખવાના લાભો વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. સાથે જ, ધાત્રી માતાના સારા સ્વાસ્થ્ય માટે પરિવારના સભ્યો દ્વારા યોગ્ય પોષણ, આરામ અને માનસિક સહયોગ પૂરો પાડવાના મહત્વ પર પણ ભાર મૂકવામાં આવ્યો.
અદાણી ફાઉન્ડેશનનો સુપોષણ પ્રોજેક્ટ ઉમરપાડા તાલુકામાં કુપોષણ નાબૂદી અને માતા-બાળકના સ્વાસ્થ્ય સુધારા માટે પ્રતિબદ્ધ છે. આ અભિયાનને ICDS વિભાગ, આંગણવાડી કાર્યકર્તાઓ, આશા બહેનો અને સ્થાનિક આગેવાન અને ગ્રામજનોનો ઉત્સાહપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.



