
સુરત: લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને કતારગામ સ્થિત સમસ્ત પાટીદાર સમાજ ભવન ખાતે આજથી ત્રણ દિવસીય *સુરત જ્વેલરી શો-2026*નો ભવ્ય પ્રારંભ થયો છે. 24થી 26 જુલાઈ દરમિયાન યોજાનારા આ પ્રદર્શનના 17મા સંસ્કરણમાં ડાયમંડ, ગોલ્ડ, બ્રાઇડલ તેમજ પરંપરાગત અને આધુનિક ડિઝાઇનની અદભૂત જ્વેલરી એક જ છત નીચે પ્રદર્શિત કરવામાં આવી છે. જેના કારણે જ્વેલરી પ્રેમીઓ અને લગ્ન પ્રસંગ માટે ખરીદી કરવા ઇચ્છુક પરિવારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
શોનું ઉદ્ઘાટન SGCCIની એજ્યુકેશન કમિટી ચેરપર્સન ડો. મોનિકા શર્મા અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ મહિલા શાખાના પ્રમુખ અનુરાધા જાલને રિબન કાપીને કર્યું હતું. આ પ્રસંગે SGCCIના પ્રમુખ અશોક જીરાવાલા, સુરત જ્વેલર્સ એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

જ્વેલરી શોના આયોજક રિકિન વ્યાસે જણાવ્યું હતું કે આ વર્ષે યોજાયેલું 17મું સંસ્કરણ જ્વેલરી ઉદ્યોગના અગ્રણી ઉત્પાદકો અને કારીગરોને એક મંચ પર લાવતું વિશિષ્ટ આયોજન છે. પ્રદર્શનમાં 17થી વધુ જાણીતા જ્વેલર્સ ભાગ લઈ રહ્યા છે, જ્યાં મુલાકાતીઓને નવીનતમ ડિઝાઇન અને વિશાળ કલેક્શન જોવા મળી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગ્નસરાની સિઝનને ધ્યાનમાં રાખીને ખાસ બ્રાઇડલ કલેક્શન, ડાયમંડ જ્વેલરી, ગોલ્ડ ઓર્નામેન્ટ્સ તેમજ પરંપરાગત અને આધુનિક ડિઝાઇનની વિશેષ શ્રેણી રજૂ કરવામાં આવી છે. વર્ષોનો અનુભવ ધરાવતા કારીગરોની અનોખી કારીગરી એક જ સ્થળે ઉપલબ્ધ હોવાથી ખરીદદારોને પોતાની પસંદગી મુજબ અનેક વિકલ્પો મળી રહ્યા છે.
રિકિન વ્યાસે જણાવ્યું હતું કે સુરત જ્વેલરી શો વર્ષોથી જ્વેલરી પ્રેમીઓ માટે વિશ્વાસનું પ્રતિક બની ગયો છે. કતારગામ અને આસપાસના વિસ્તારોમાંથી મળતા સતત સહકાર અને વિશ્વાસને કારણે આ પ્રદર્શન દર વર્ષે સફળ રહ્યું છે. લગ્ન પ્રસંગ માટે ગુણવત્તાયુક્ત અને વિવિધ પ્રકારની જ્વેલરી એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે.
આયોજકોએ શહેરના જ્વેલરી પ્રેમીઓને 24, 25 અને 26 જુલાઈ દરમિયાન યોજાયેલા આ ત્રણ દિવસીય સુરત જ્વેલરી શોની મુલાકાત લઈ નવીનતમ કલેક્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.



