બિઝનેસ

અદાણી ગ્રુપના બે એરપોર્ટ્સને આર્કિટેક્ચર જગતનો ‘ઓસ્કાર’

યુનેસ્કોમાં દુનિયાના સૌથી સુંદર એરપોર્ટની યાદીમાં કમળ અને ઓર્કિડની ડિઝાઇને મંત્રમુગ્ધ કર્યા!

વિશ્વના સૌથી સુંદર એરપોર્ટની વૈશ્વિક રેસમાં અદાણી ગ્રુપે ભારતનો ડંકો વગાડ્યો છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) સંચાલિત નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ ૧) અને ગુવાહાટીના લોકપ્રિય ગોપીનાથ બોરદોલોઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (ટર્મિનલ ૨) ને વિશ્વના સૌથી સુંદર એરપોર્ટની પ્રતિષ્ઠિત ‘પ્રિક્સ વર્સેલ્સ’ ૨૦૨૬ની વૈશ્વિક યાદીમાં સ્થાન મળ્યું છે. અદાણી ગ્રુપની આ ઐતિહાસિક સિદ્ધિ સાબિત કરે છે કે ભારત વૈશ્વિક કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં દુનિયામાં સૌથી મોખરે છે.

ફ્રાન્સના પેરિસમાં યુનેસ્કો (UNESCO)ના મુખ્ય મથક ખાતેથી અપાતો આ એવોર્ડ આર્કિટેક્ચર જગતનો ઓસ્કાર ગણાય છે, જે સ્થાપત્યની અદભુત સુંદરતા, આધુનિક ઇનોવેશન, પર્યાવરણની જાળવણી અને મુસાફરોના સર્વોચ્ચ અનુભવ માટે એનાયત થાય છે. આ વૈશ્વિક સન્માન સ્થાપત્યની દુનિયામાં એક ક્રાંતિ સમાન છે. તે એ વાતની સાક્ષી પૂરે છે કે આધુનિક યુગમાં એરપોર્ટ માત્ર મુસાફરી માટે જ નહીં, પણ દેશની સંસ્કૃતિ, પરંપરા અને ભવિષ્યની પ્રગતિને દર્શાવતું એક જીવંત પ્રતીક છે.

આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં નવી મુંબઈ એરપોર્ટે ભારતના રાષ્ટ્રીય ફૂલ ‘કમળ’ (Lotus) આકારની ભવ્ય ડિઝાઇન, ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી અને અદભુત કળાના સમન્વયે દુનિયાને મંત્રમુગ્ધ કરી છે, બીજી તરફ ગુવાહાટી એરપોર્ટના ટર્મિનલ ૨ ની ડિઝાઇન ઉત્તર-પૂર્વ ભારતની પ્રકૃતિના પ્રતીક એવા અત્યંત સુંદર ‘બેમ્બુ ઓર્કિડ’ ફૂલ પરથી તૈયાર કરાઈ છે, જે કુદરતી સૌંદર્ય અને અદભુત ઇજનેરી કળાનો અજોડ નમૂનો છે. આ બંને ટર્મિનલ સ્થાપત્ય કળાની સાથે આધુનિક સુવિધાઓનું અદભુત કેન્દ્ર બની પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યા છે.

ભારતની સાથે આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ચીનનું ગુઆંગઝુ, જર્મનીનું ફ્રેન્કફર્ટ, કંબોડિયાનું કંડાલ સ્ટુએંગ તેમજ અમેરિકાના પિટ્સબર્ગ અને સેન ડિએગો જેવા સુપર-આધુનિક એરપોર્ટ્સ પણ રેસમાં છે, જેમાંથી વર્ષના અંતે શ્રેષ્ઠ ત્રણ એરપોર્ટને વિશ્વ વિજેતા તરીકે ‘વર્લ્ડ ટાઇટલ’ આપીને નવાજવામાં આવશે.

આ એવોર્ડ અંતર્ગત અપાતું સન્માન ખાસ કરીને ‘ઇન્ટેલિજન્ટ સસ્ટેનેબિલિટી’ પર ભાર મૂકે છે. તેનો અર્થ એ થાય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું મજબૂત અને આધુનિક હોવું જોઈએ જે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર આવનારી પેઢીઓ માટે પણ ઉપયોગી બને. મુસાફરોને વૈશ્વિક સ્તરની લક્ઝરી સુવિધાઓ આપવાની સાથે સાથે પ્રકૃતિની જાળવણી કેવી રીતે કરી શકાય, તે આ એવોર્ડ મેળવનારા સ્થાપત્યોની વિશેષતા અને આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.

અદાણી ગ્રુપ દ્વારા બનાવાયેલા આ વર્લ્ડ-ક્લાસ એરપોર્ટ્સ આગામી સમયમાં ભારતમાં પ્રવાસન, વેપાર અને આર્થિક વિકાસને એક રોકેટ ગતિ આપી રહ્યા છે, જે દેશના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મોટું અને મજબૂત કદમ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button