ગૌતમ અદાણીએ અક્ષય તૃતિયાના મંગલ દિને તારંગા જૈન મંદિરમાં પૂજા અર્ચના કરી

મહેસાણા, ૧૯ એપ્રિલ ૨૦૨૬: આજે રવિવારે અક્ષય તૃતીયાના મંગલ પ્રસંગે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી અને તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણીએ ગુજરાતના તારંગાની ટેકરીઓમાં બિરાજમાન શ્રી અજિતનાથ ભગવાન શ્વેતાંબર જૈન દેરાસરની મુલાકાત લઇ પૂજા અર્ચના કરી હતી.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા હેલિપેડ પર સવારે ૭:૪૫ વાગ્યે પહોંચેલા અદાણી દંપતીનું જૈન સમાજના સભ્યોએ સ્વાગત કર્યા બાદ તેઓ તારંગાની ટેકરીએ પર ગયા.જૈન સંપ્રદાયની પરંપરાઓમાં આ દિવસને ખાસ પવિત્ર માનવામાં આવતો હોવાથી શ્રદ્ધાળુઓ વહેલી સવારથી અહીં એકત્ર થાય છે અને શ્રી અજિતનાથ ભગવાન શ્વેતાંબરના શ્રધ્ધાભાવથી દર્શન કરે છે.
જૈન ધર્મના બીજા તીર્થંકર ભગવાન અજિતનાથને સમર્પિત અને સોલંકી શાસક રાજા કુમારપાલ સાથે સંકળાયેલું અને ૧૨મી સદીમાં નિર્માણ થયેલું આ મંદિર સમગ્ર જૈન સમાજ માટે માટે આસ્થાનું એક મહત્વનું તીર્થધામ છે.
ગૌતમ અદાણીએ આ ઐતિહાસિક સ્થળે આવેલા મંદિર સંકુલમાં સમય વિતાવતા પૂર્વે ગર્ભગૃહની અંદર જઇ ભગવાન અજિતનાથની મૂર્તિ સમક્ષ પૂરા શ્રધ્ધાભાવથી પ્રાર્થના કરી હતી. આ દંપતીએ અહીં ચાલતી કેન્ટીનની પણ મુલાકાત લીધી હતી.
તારંગાની આ મુલાકાત દરમિયાન શ્રી અદાણીએ મંદિરના ટ્રસ્ટી સચિન અશોકભાઇ શાહને મળીને મંદિરની બેનમૂન સ્થાપત્ય કલા અને આધ્યાત્મિક અખંડિતતાને જાળવી રાખવા સમેત યાત્રાળુઓ માટે સુવિધાઓમાં સુધારા વધારા કરવાના હેતુસરની વિવિધ યોજનાઓ વિષે પરામર્શ કર્યો હતો.
પવિત્ર સ્થળની આસપાસના પ્રદેશના પર્યાવરણીય પુનઃસ્થાપન અને જાળવણીમાં ફાળો આપતા તારંગાની ટેકરીઓ લીલીછમ અને હરિયાળીથી આચ્છાદિત રહે તે માટે અદાણી ગ્રુપ વનીકરણના થઇ રહેલા પ્રયાસોને પણ સમર્થન આપી રહ્યું છે.
સમૃદ્ધિ, નવો શુભારંભ અને દાન પૂણ્યના કાર્યો માટે અક્ષય તૃતીયાની તિથીને હિન્દુ અને જૈન કેલેન્ડરમાં એક વણદીઠા શુભ મુહૂર્ત તરીકે સૌથી શુભ દિવસોમાંનો એક માનવામાં આવે છે. જૈન પરંપરા અનુસાર આ દિવસે ઋષભનાથને લાંબા ઉપવાસ પછી પ્રથમ દાન મળ્યું હતું, જેના કારણે તપસ્વીઓને ભોજન આપવાની પ્રથા સ્થાપિત થઈ હતી એવી માન્યતા છે.
અદાણી પરિવારે મહિનાની શરુઆતમાં હનુમાન જયંતિ પ્રસંગે ભારતના સૌથી અગ્રણી આસ્થાના પ્રતીક અને હિન્દુ મંદિરોમાંના એક અયોધ્યાના રામ મંદિરની મુલાકાત લઇ પૂજા-અર્ચના કરી વિશ્વ શાંતિ સકલ જગતના કલ્યાણ માટેપ્રાર્થના કરી હતી.



