બિઝનેસસુરત

ડુમસ રોડ પર ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

વોલેટીલિટી થી વિક્ટ્રી: વેલ્થ ક્રિએશન ઇન ઇન્ડિયા અંગે નિષ્ણાતોએ આપ્યુ માર્ગદર્શન

સુરત: ડુમસ રોડ સ્થિત અમોર હોટેલ ખાતે “વોલેટીલિટી ટુ વિક્ટ્રી – વેલ્થ ક્રિએશન ઇન ઇન્ડિયા” વિષય પર ઇન્વેસ્ટર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ રોકાણકારોને વર્તમાન બજારની અસ્થિર પરિસ્થિતિમાં યોગ્ય માહિતી અને માર્ગદર્શન આપીને સંપત્તિ સર્જન વિશે જાગૃત કરવાનો હતો.

કાર્યક્રમમાં અભિષેક શાહ, ડિરેક્ટર – એથિકસ વેલ્થ પ્રાઇવેટ લિમિટેડ, એ જણાવ્યું કે તેમને વેલ્થ અને સ્ટોક મેનેજમેન્ટ ક્ષેત્રમાં લગભગ 25 વર્ષનો અનુભવ છે. તેમણે જણાવ્યું કે હાલમાં વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે બજારમાં ભારે વોલેટીલિટી જોવા મળી રહી છે, પરંતુ યોગ્ય જ્ઞાન અને હિંમત હોય તો આવી સ્થિતિમાં પણ સારી વેલ્થ ક્રિએટ કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ફાઇનાન્સિયલ એજ્યુકેશન આજના સમયમાં અત્યંત જરૂરી છે, કારણ કે આ પ્રકારનું શિક્ષણ સ્કૂલ અને કોલેજોમાં આપવામાં આવતું નથી.

અભિષેક શાહે વધુમાં જણાવ્યું કે વિશ્વમાં અનેક સંકટો ચાલી રહ્યા છે, જેમ કે કોરોના ક્રાઈસીસ, રશિયા યુક્રેન અને લેહમન બ્રધર્સ ક્રાઈસીસ જેવા આર્થિક સંકટો. તેમ છતાં, આવા સંજોગોમાં યોગ્ય રોકાણ કરવામાં આવે તો લાંબા ગાળે ઉત્તમ વળતર મળી શકે છે. તેમના જણાવ્યા અનુસાર “કેશ અને કરેજ” બંને હોય તો રોકાણકારો માટે વેલ્થ ક્રિએશનની સારી તક ઊભી થાય છે, પરંતુ કરેજ લાવવા માટે નોલેજ અનિવાર્ય છે.

કાર્યક્રમમાં રોકાણકાર ક્રિશન શર્માએ પોતાના 30 વર્ષના રોકાણના અનુભવ વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે શરૂઆતના 10 વર્ષમાં પૈસા ગુમાવવાના અનુભવે તેમને વધુ સારો રોકાણકાર બનવામાં મદદ કરી. તેઓએ કહ્યું કે ટ્રેડિંગમાં એક કમાય ત્યારે બીજો ગુમાવે છે, જ્યારે લાંબા ગાળાના રોકાણ દ્વારા સૌ માટે સ્થિર સંપત્તિ સર્જી શકાય છે.

ક્રિશન શર્માએ વધુમાં જણાવ્યું કે રોકાણ હંમેશા લોંગ ટર્મ, શોર્ટ ટર્મ અને ઇમરજન્સી ફંડના આધારે વિભાજિત કરવું જોઈએ. તેમણે સમજાવ્યું કે યુદ્ધ કે વૈશ્વિક સંકટોના સમાચારથી ગભરાવાની જગ્યાએ ભવિષ્યમાં બજાર કેવી રીતે આગળ વધશે તે વિચારવું વધુ મહત્વનું છે.

તેમણે જણાવ્યું કે વિશ્વની આર્થિક પરિસ્થિતિમાં સમયાંતરે પરિવર્તન આવે છે—જાપાનનો સમય વીતી ગયો, ચીનનો સમય ચાલી રહ્યો છે અને હવે ભારતના વિકાસનો સમય શરૂ થઈ રહ્યો છે. તેથી યોગ્ય જ્ઞાન અને ધીરજ સાથે કરવામાં આવેલું રોકાણ આવનારા સમયમાં વધુ સારી વેલ્થ ક્રિએશન માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

કાર્યક્રમ દરમિયાન નિષ્ણાતોએ રોકાણકારોને સંદેશ આપ્યો કે બજારમાં ઊતાર-ચઢાવ જીવનના સુખ-દુઃખ જેવી સ્વાભાવિક પ્રક્રિયા છે. ગભરાવાની જગ્યાએ યોગ્ય માહિતી અને સમજ સાથે લેવાયેલા નિર્ણય લાંબા ગાળે સકારાત્મક પરિણામ આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button