સુરતના વેસુ ખાતે આચાર્ય ભગવંત વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહ યોજાયો
આચાર્યશ્રી યશોવર્મજીએ બાળકો, યુવાઓ અને પરિવારો માટે અનેક શિબિરો યોજી સમાજસેવા અને સમાજ સુધારણાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સુરતના વેસુ સ્થિત બલર ફાર્મ ખાતે યોજાયેલા આચાર્ય ભગવંત વિજય યશોવર્મ સુરીશ્વરજી મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહભાગી થઈ નૂતન ગચ્છાધિપતિના આશિર્વાદ મેળવ્યા હતા. આ વેળાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જાહેરજીવનમાં ઘણા પ્રસંગોમાં જવાનું બનતું હોય છે, પરંતુ આત્મસુખ મળે એવા પ્રસંગો પૈકીના આ પ્રસંગમાં આવી અનેરા આત્મસુખની અનુભૂતિ થાય છે. પ્રસંગોમાં સાક્ષીભાવે હાજરી હોય પરંતુ કયો ભાવ હ્રદયને સ્પર્શી જાય એ અકળ છે, જેની અનૂભૂતિ જ કરી શકાય એમ છે.
મુખ્યમંત્રીએ જૈનાચાર્ય યશોવર્મસુરીશ્વર મહારાજ દ્વારા કરવા આવેલા કામોની સહર્ષ નોંધ લઇ ૬૩ વર્ષના તેમના સફળ દીક્ષાપર્યાયને સમગ્ર માનવ સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી સમાજને સુસંસ્કૃત કરવા તેમણે આપેલા યોગદાનની સરાહના કરી હતી. વર્ષ ૧૯૬૫માં નાની વયે દીક્ષા લઈને આચાર્યશ્રીએ દેશના ખૂણેખૂણામાં પરિભ્રમણ કરી અનેક લોકો અને પરિવારોનું કલ્યાણ કરવાની સાથે ખરા અર્થમાં તેઓના પથદર્શક બનવાનું ઉત્તમ કાર્ય કર્યું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુંબાળકો, યુવાઓ અને પરિવારો માટે અનેક શિબિરો યોજી સમાજસેવા અને સમાજ સુધારણાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે એમ જણાવી તેમણે અહીં કંઇક આપવા માટે નહીં પરંતુ જીવનનું અમૂલ્ય ભાથું લેવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આપણે સૌ ભૌતિક સુખની પાછળ દોટ મુકીએ છીએ. જીવનનું સાચું સુખ તો સાધુત્વમાં રહેલું છે. રાજયના તમામ નાગરિકો સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી મોક્ષ પામવા તરફ પ્રશસ્ત થાય એવા આચાર્યશ્રીના આશીર્વાદની કામના કરી હતી.

મુખ્યમંત્રીએ સંયમિત જીવનને સુખનું સાચું અને કાયમી સરનામું ગણાવી સૌ કોઇને જીવનમાં સાચું સુખ અને શાંતિ મેળવવા ધર્મ સાથે જોડાયેલા રહેવાની શીખ આપી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સુરતની પાવન ભૂમિ પર હજારો લોકોને જૈનાચાર્ય અભયદેવસૂરી અને વિજય યશોવર્મસૂરીશ્વરજીનો લાભ મળી રહ્યો છે. બન્ને આચાર્યોની નિશ્રામાં લોકજીવનમાં હકારાત્મક બદલાવ આવ્યા છે અને માત્ર જૈન સમાજ જ નહીં, અન્યો સમાજોને પણ નવી દિશા ચીંધવાનું કામ કર્યું છે. આચાર્ય યશોવર્મ સૂરીશ્વરજી દ્વારા યુવાઓ અને બાળકોને તેમની શિબિરો થકી ધર્મ અને સમાજ સાથે સાંકળવા અને જ્ઞાન સાથે સંસ્કાર આપવાના ભગીરથ યોગદાનની સરાહના કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ યશોવર્મ સુરિશ્વર મહારાજના ગચ્છાધિપતિ પદપ્રદાન કાર્યક્રમનું યજમાન પદ સુરતને આપવા બદલ તેમણે ધન્યતાની લાગણી વ્યક્ત કરી આભાર વ્યકત કર્યો હતો.
આ પદપ્રદાન કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ ગચ્છાધિપતિ તરીકે પદગ્રહણ કરી રહેલા નૂતન ગચ્છાધિપતિના ભાલે વિજય તિલક કરી શુભકામનાઓ પાઠવી હતી.
લબ્ધી-વિક્રમગુરુપટ્ટરત્ન હૃદયસ્પર્શી પ્રવચન આચાર્ય શ્રી યશોવર્મસુરીશ્વરજી મહારાજા ને પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી અભયદેવસૂરીજી મહારાજા ના વરદહસ્તે ગચ્છાધિપતિ અભયદેવ સુરીશ્વર મહારાજે નૂતન ગચ્છાધિપતિના કાનમાં મંત્ર ઉચ્ચારણ કરી સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક નૂતન ગચ્છાધિપતિને પદપ્રદાન કર્યું હતું. આ મહોત્સવમાં
અનેક ગચ્છાધિપતિશ્રીઓ અને 36-36 આચાર્ય ભગવંતો, હજાર પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો ની નિશ્રામાં ફાગણ સુદ 5 રવિવાર તારીખ 22 ફેબ્રુઆરીના વેસુ-હેપ્પી એકસીલેન્જિયાની સામે બલ્લર ફાર્મ – ગુરુ લબ્ધિસામ્રાજ્યમાં આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં જૈન સમાજ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ યશોવર્મ સુરિશ્વર મહારાજના જીવનચરિત્રને આલેખતા “શ્રદ્ધેય ગુરૂદેવશ્રી” પુસ્તકનું વિમોચન કર્યું હતું.
આ પ્રસંગે મહારાષ્ટ્ર સરકારના મંત્રી મંગલપ્રભાત લોઢા, ધારાસભ્યઓ મનુભાઈ પટેલ, સંદીપભાઈ દેસાઈ, સંગીતાબેન પાટીલ, મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેકટર સૌરભ પારધી, મ્યુ.કમિશનર એમ. નાગરાજન, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સ્થાયી ચેરમેન રાજન પટેલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સહિત અનેક પદાધિકારી, અધિકારી, જૈનમુનિઓ, સાધુભગવંતો અને મોટી સંખ્યામાં જૈન શ્રાવકો ઉપસ્થિત રહ્યા હતા.



