ભારત સરકારની રિજીયોનલ ડાયરેકટ ટેક્ષ એડવાઇઝરી કમિટીમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીની ટ્રેડ પ્રતિનિધિ તરીકે નિમણૂંક
ચેમ્બરના પ્રમુખની રાષ્ટ્રીય સ્તરની આ મહત્વપૂર્ણ કમિટીમાં નિમણૂંકથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓના અવાજને નીતિગત સ્તરે વધુ મજબૂતી મળશે

સુરતઃ ભારત સરકારના નાણાં મંત્રાલયના રેવન્યુ વિભાગ દ્વારા ગુજરાત તેમજ દાદરા અને નગર હવેલી તથા દમણ–દીવ પ્રદેશ માટે રિજીયોનલ ડાયરેકટ ટેક્ષ એડવાઇઝરી કમિટી (RDTAC)માં ટ્રેડ પ્રતિનિધિ તરીકે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નિખિલ મદ્રાસીની નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂંક સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ અને વેપાર જગત માટે ગૌરવની બાબત છે.
આ કમિટીમાં ટ્રેડ પ્રતિનિધિ કેટેગરીમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નિખિલ મદ્રાસીની, મેમ્બર ઓફ પાર્લામેન્ટ કેટેગરીમાં લોકસભા સાંસદ ભરત મનુભાઇ સુતરીયાની, રાજ્ય સરકારના પ્રતિનિધિ કેટેગરીમાં અમદાવાદના સ્ટેટ ટેક્ષના એડિશનલ કમિશનર કમલ દિનકરરાય શુકલની, લોયર ડિલીંગ વીથ ઇન્કમ–ટેક્ષ મેટર્સ કેટેગરીમાં ધ્રુવેનકુમાર વિનોદચંદ્ર શાહની, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેટેગરીમાં સુલભ ઉરેશકુમાર પદશાહની, ઇન્ડસ્ટ્રી પ્રતિનિધિની કેટેગરીમાં જનિક નૌતમભાઇ વકિલની, યુનિવર્સિટી પ્રોફેસર્સ/કોલેજ પ્રિન્સિપલ કેટેગરીમાં ડો. શંકર એસ. સોઢાની અને બેંક મેનેજર કેટેગરીમાં હિતેશ મહેન્દ્ર દવેની નિમણૂંક કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખને Regional Direct Tax Advisory Committee માં Representative of Trade તરીકે નિમણૂંક આપવી એ દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓના વિશ્વાસનો પ્રતિબિંબ છે. આ કમિટી મારફતે કરદાતાઓને આવકવેરા સંબંધિત જે સામાન્ય પ્રશ્નો અને મુશ્કેલીઓ ઊભી થાય છે, તે મુદ્દાઓને સકારાત્મક રીતે સરકાર અને આવકવેરા વિભાગ સમક્ષ રજૂ કરવાની અસરકારક તક મળશે. ચેમ્બર હંમેશા ઉદ્યોગ–વ્યાપાર અને સરકાર વચ્ચે સેતુરૂપે કાર્ય કરતી રહી છે અને આવનારા સમયમાં પણ કરદાતાઓના હિતમાં રચનાત્મક સૂચનો રજૂ કરતી રહેશે.
ચેમ્બરના પ્રમુખની આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરની કમિટીમાં નિમણૂંકથી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓના અવાજને નીતિગત સ્તરે વધુ મજબૂતી મળશે, તેવી ચેમ્બરે આશા વ્યક્ત કરી છે.



