
સુરત: કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના સરસાણા સ્થિત કન્વેન્શન સેન્ટરમાં SGCCI (ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ) નો ૮૪મો પદાગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં વર્ષ ર૦ર૪–રપના નવનિયુક્ત પ્રમુખ તરીકે વિજય મેવાવાલા અને ઉપપ્રમુખ નિખિલ મદ્રાસીએ કાર્યભાર સંભાળ્યો હતો. સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તેમજ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ રાજ્ય સહિત સુરતના ચોમેર વિકાસ અને ઔદ્યોગિકરણનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારની સરળ નીતિ, ઉદ્યોગો માટેનું યોગ્ય વાતાવરણ તેમજ સમયબદ્ધ નિર્ણયોને કારણે ઔદ્યોગિક વિકાસમાં સુરત અગ્રેસર રહ્યું છે. ઉદ્યોગો લોકોને રોજગારી આપતું સૌથી મોટું માધ્યમ છે. હાલના સમયમાં રોજગારી માટે ખેતી પર આધાર રાખતો વર્ગ ઓછો થઈ રહ્યો છે. જેથી નવા આઈડિયા સાથે આગળ આવતો યુવા વર્ગ નવી તક અને પ્રોત્સાહન સાથે ઉદ્યોગોમાં ઝંપલાવી નવા આયામો પ્રાપ્ત કરે છે. જે સમાજ અને દેશના વિકાસમાં ઉપયોગી નીવડે છે. હાલના સમયમાં મોટા ઉદ્યોગો સમાજ તરફની નૈતિક જવાબદારીના ભાગરૂપે સામાજિક વિકાસમાં પણ મહત્વનું યોગદાન આપે છે.
વધુમાં મંત્રીશ્રીએ આવનારા ૫૦ વર્ષો માટે સુરત શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા બની રહેલા મગદલ્લા તાપી રિવર બરેજ યોજના વિશે જાણકારી આપી હતી. આખા વિશ્વમાં સુરત પ્રથમ શહેર છે જેણે આગોતરા આયોજનના ભાગરૂપે આવનારા ૫૦ વર્ષો માટે પાણીની સુવિધા કરી છે એમ ગર્વભેર ઉમેર્યું હતું. સાથે જ ફરી ક્યારેય સુરતમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્રની વિશેષ તૈયારીઓની ખાતરી પણ આપી હતી.