સુરત

સુરત: હવે સિટી ,બીઆરટીએસ બસોમાં ટિકિટ વગરના મુસાફરો સામે કાર્યવાહી થશે, ડ્રાઇવર-કંડક્ટર પણ નિયંત્રણમાં

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ટ્રાન્સપોર્ટ કમિટીએ કડક વલણ અપનાવ્યું, ફરિયાદોના નિરાકરણ માટે બોલાવી બેઠક

સુરત શહેરમાં મહા નગર પાલિકા સંચાલિત સિટીલિંક કંપની દ્વારા સિટી , બીઆરટીએસ બસોમાં ટિકિટ વગર મુસાફરી કરવી હવે મોંઘી સાબિત થઈ શકે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સામૂહિક ટ્રાન્સપોર્ટ કમિટીએ મુસાફરો તેમજ ડ્રાઇવરો અને કંડક્ટરો પર કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

દિલ્હી ગેટ ટર્મિનલ ખાતે બસ કંડક્ટરો, ચેકર્સ, વિજિલન્સ અને ડ્રાઇવર એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે હવેથી ટિકિટ વગર પકડાયેલા મુસાફરો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

માહિતી આપતાં ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે દિલ્હી ગેટ બસ ટર્મિનલ ખાતે યોજાયેલી આ બેઠકમાં સિટી અને બીઆરટીએસ બસોના ડ્રાઇવર-કંડક્ટર સપ્લાય કરતી એજન્સીના પ્રતિનિધિઓ, સિટીલિંક કંપનીના સ્ટાફ ડેપો મેનેજર સહિત સિટિલિંક કંપની જનરલ મનેજર પ્રવીણ પ્રસાદ સહિત 100 થી વધુ લોકો હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સીટી અને બીઆરટીએસ બસોને લગતી ફરિયાદોનો ઉકેલ લાવવાનો હતો.

બેઠકમાં ડ્રાઈવરો અને કંડક્ટરોને લગતી ફરિયાદો ઘટાડવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો ડ્રાઈવર કે કંડક્ટર દોષિત સાબિત થશે તો તેમને અને સંબંધિત એજન્સી બંનેને દંડ કરવામાં આવશે. આ સાથે, જો બસ ડ્રાઈવર, કંડક્ટર કે ચેકર દ્વારા કોઈ અનિયમિતતા જોવા મળશે તો દંડ સાથે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે.

સમિતિએ ખાસ કરીને એ મુદ્દો ઉઠાવ્યો હતો કે સુરતમાં મુસાફરો ઘણીવાર ટિકિટ લેવા ટેવાયેલા નથી. તેઓ કંડક્ટરને તેમના સ્ટોપ પર ઉતરે ત્યારે જ પૈસા આપે છે, જેના કારણે કંડક્ટર ટિકિટ આપ્યા વગર પૈસા ખિસ્સામાં મૂકીને મહાનગરપાલિકાને આર્થિક નુકસાન પહોંચાડે છે. હવે ડ્રાઈવર,કંડક્ટરોએ ફરજ શરૂ કરતી વખતે લોગ બુકમાં તેમની પાસે રહેલી રોકડ રકમ દાખલ કરવી ફરજિયાત રહેશે. જો ચેકિંગ દરમિયાન લોગ બુકમાં નોંધાયેલી રકમ કરતાં વધુ રોકડ રકમ મળી આવશે, તો ડ્રાઈવર,કંડક્ટર સામે દંડ તેમજ દોષિત જણાય તો પોલીસ કાર્યવાહી બંને કરવામાં આવશે.

આ ઉપરાંત, યુનિફોર્મ કે ઓળખપત્ર વિના ફરજ પર જોવા મળતા બસ ડ્રાઈવરો,કંડક્ટર અને ચેકર્સ, પર દંડ પણ લાદવામાં આવશે. જો કોઈ ડ્રાઈવર નિયત જગ્યાએ બસ નહીં રોકે અથવા ‘સ્ટોપ કૂદી જાય’ તો બસ ડ્રાઈવર તેમજ એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે.

પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ મુસાફરોને પોતાની જવાબદારી સમજવા અપીલ પણ કરી છે. તેમણે કહ્યું કે મુસાફરોએ સરલ પાસ મેળવવો જોઈએ અથવા ટિકિટ ખરીદ્યા પછી જ સિટી બસ કે બીઆરટીએસ માં મુસાફરી કરવી જોઈએ. મરાઠેએ ચેતવણી આપી હતી કે, “મુસાફરો હવે સાવધાન રહે, ટિકિટ વગર મુસાફરી કરવી ગુનો છે. ટિકિટ વગર પકડાશે તો હવે મુસાફરોને દંડ પણ થશે. ટિકિટ વગર મુસાફરી કરનારા બાળકો માટે 50 રૂપિયા અને પુખ્ત ઉંમરના લોકો માટે 100 રૂપિયા નો દંડ કરવાની તૈયારી કરવામાં આવી છે” તેમણે કહ્યું કે આવી હવે ઝુંબેશ કાયમી ચાલુ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button