
સુરત: આદિજાતિ બાંધવોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓના સમગ્રતયા વિકાસ માટે શિક્ષણ, રોજગારી, આર્થિક ઉન્નતિ અને સામાજિક ઉત્થાનના લેવાયેલા ચતુષ્કોણીય પગલાઓના કારણે આદિવાસી યુવાનો વિકાસની મુખ્યધારામાં સામેલ થયા છે. આદિવાસી બહેનો પણ શિક્ષણની સાથે સ્વરોજગારી માટે સક્ષમ અને સજાગ બની છે.
આદિજાતિ સમાજના લોકોનો સામાજિક-આર્થિક વિકાસમાં થાય તથા બાળકોને ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે, સાક્ષરતા દર ઉંચો આવે તે માટે ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૧૦૫ શાળાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલો, ૪૩ કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ, ૧૨ મોડેલ ડે સ્કુલ, બે સૈનિક સ્કુલો કાર્યરત છે. આ શાળાઓ ૧૫ આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત છે.
રાજ્ય સરકારના આદિજાતિ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી(બિલવણ) ખાતે સૈનિક સ્કુલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેના થકી આદિજાતિના બાળકોના સૈનિક બની રાષ્ટ્રસેવા કરવાના સપના સાકાર થઈ રહ્યા છે.
સૈનિક સ્કુલના પ્રિન્સિપાલ શ્રી જયદિપસિંહ રાઠોડ કહે છે કે, આ સૈનિક શાળાના પટાંગણમાં ત્રણ શાળા કાર્યરત છે. જેમાં સૈનિક સ્કુલમાં ધો.૬ થી ૧૨માં ૧૭૩ દીકરા તથા ૧૯૯ દીકરીઓ મળી કુલ ૩૭૨ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં ભોજન, રહેઠાણની સહિતની તમામ સુવિધા સાથે વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. જયારે ધો.૧૧ અને ધો.૧૨માં વિજ્ઞાન પ્રવાહ કાર્યરત છે.
જ્યારે કાર્યકારી શાળા તરીકે એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલ-ઉમરપાડાના ૬૦ વિદ્યાર્થીઓ તથા એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલ-માંગરોળના ૨૫૯ વિદ્યાર્થીઓ રહેઠાણની સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે. આમ, કુલ ૬૯૧ વિદ્યાર્થીઓ ભોજન, નિવાસની સુવિધા સાથે વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યા છે.
વધુમાં તેઓ કહે છે કે, સૈનિક શાળા ૨૦૧૭માં બારડોલીના મોતા ગામે શરૂ થઈ હતી. ત્યારબાદ જૂન-૨૦૨૩માં વાડી ગામે રાજ્ય સરકારે રૂા.૫૦ કરોડના ખર્ચે અદ્યતન મેદાન સાથે ૨૦ એકર જમીનમાં સૈનિક સ્કુલનું નિર્માણ કર્યા બાદ અહી કાર્યરત થઈ છે. શાળાના પટાંગણમાં અભ્યાસ માટે અદ્યતન સુવિધાથી સજ્જ ભવન, મેસ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ સાથેનું ૪૦૦ મીટરનું મેદાન, લાયબ્રેરી, કેમેસ્ટ્રી, ફિઝીક્સ અને બાયોલોજી લેબ, કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે. શાળામાં ૪૮ ઓરડા તથા ૨૩ સ્માર્ટ ક્લાસરૂમ છે.
સૈનિક સ્કુલના બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ૨૦૨૩-૨૪માં ધો.૧૦ એસ.એસ.સી.નું પરિણામ ૯૫.૯૧ ટકા આવ્યું હતું. જયારે એચ.એસ.સી.નું ધો.૧૨નું ૮૧.૮૧ ટકા પરિણામ આવ્યું હોવાનું આચાર્ય જણાવે છે.
તેઓ કહે છે કે, સૈનિક સ્કુલ માટે દરેક વિદ્યાર્થી દીઠ સરકાર દ્વારા વર્ષે દહાડે રૂા.૭૨,૦૦૦ની ગ્રાંટ ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા સુબેદાર અને હવાલદાર દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવે છે. સૈનિક સ્કુલના સ્ટાફની વાત કરતા તેઓ કહે છે કે, ૧૯ શૈક્ષણિક તથા સાત બિનશૈક્ષણિક સહિત કુલ ૨૬ જેટલો સ્ટાફગણ ફરજ બજાવે છે. અહી જે.ઈ.ઈ., નીટના કલાસ પણ ચલાવીએ છીએ. તાજેતરમાં અહીંના માંગરોળના ધારાસભ્યશ્રી ગણપતસિંહ વસાવાએ શાળામાં સાધનો પૂરા પાડવા માટે રૂા.૪૦ લાખની ગ્રાંટની ફાળવણી કરી હોવાનું તેઓ જણાવે છે.
આચાર્ય જયદિપસિંહ સ્કુલની સમગ્ર દિનચર્યાની વિગતો આપતા કહે છે કે, સવારમાં ૫.૦૦ થી ૬.૦૦ વાગ્યા દરમિયાન ફિઝીકલી તાલીમ, ૭.૦૦ વાગે નાસ્તો, ૮.૦૦ થી ૨.૧૫ સુધી શાળામાં અભ્યાસ, ૨.૧૫ થી ૪.૦૦ સુધી એકસ્ટ્રા કલાસ, એક્ટિવીટી હોય છે. રોજ સાંજે ૪.૦૦ થી ૫.૦૦ સુધી પરેડ કરાવવામાં આવે છે. ત્યારબાદ એક કલાક રમત, સાંજે ૬.૩૦ થી ૭.૩૦ સુધી ભોજન તથા ૮.૦૦ થી ૧૦.૩૦ સુધી વાંચન કરવાનું હોય છે. અઠવાડિયામાં ત્રણ દિવસ કરાટે કલાસ ચાલે છે. સાથે સાથે વિદ્યાર્થીઓનો શારિરીક અને માનસિક વિકાસ થાય તે માટે કબડ્ડી, વોલીબોલ, ખો-ખો જેવી અનેક રમતો રમાડવામાં આવે છે.
આ શાળામાં એડમિશન વિશેની માહિતી આપતા તેઓ કહે છે કે, ધો.૬માં એડમિશન લેવા માટે અનુસૂચિત જનજાતિના બાળકોની એકલવ્ય કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા પરીક્ષા ત્યારબાદ મેડિકલ ટેસ્ટ લઈને મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.
સૈનિક શાળામાં ધો.૧૧માં સાયન્સમાં અભ્યાસ કરતા વ્યારાના વતની એવા ગામીત નિલ દિનેશભાઈ કહે છે કે, સૈનિક શાળામાં અભ્યાસથી બાળકોમાં શિસ્ત અને ચારિત્ર્ય નિર્માણ થાય છે. રાજ્યકક્ષાએ ૨૦૦ મીટર દોડમાં મેં પ્રથમ ક્રમ અને નેશનલ લેવલે ૫મો ક્રમ મેળવ્યો છે. સૈનિક સ્કુલમાં અભ્યાસ કરવાથી દરરોજ શારીરિક કસરતથી સાથે શિસ્તના ગુણોનું નિર્માણ થયું છે. ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ઓલિમ્પિક ગેમ્સમાં રમવાનું સ્વપ્ન હોવાનું તેણે કહ્યું હતું.
ધો.૮માં અભ્યાસ કરતી દિવ્યાબેન ધમેન્દ્રભાઇ પંગી કહે છે કે, આ શાળામાં બે વર્ષથી અભ્યાસ કરૂ છું. મને અહી આવીને ધણુ નવું શીખવા મળ્યું છે. સવારથી લઈને સાંજ સુધી અભ્યાસની સાથે વ્યાયામ, પરેડ સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી હોવાથી શારીરિકની સાથે માનસિક પણ મજબુત બનીએ છીએ. ભવિષ્યમાં આર્મી ઓફિસર બનીને દેશની સેવા કરવાનું સ્વપ્ન હોવાનું દિવ્યાએ કહ્યું હતું.
અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના વાલીઓ પોતાનો મત વ્યકત કરતા કહે છે કે, અત્યાર સુધી અમારા બાળકોનું સૈનિક બનીને દેશની સેવા કરવાનું માત્ર સ્વપ્ન હતું, પણ રાજ્ય સરકારની દીર્ઘદ્રષ્ટિના પરિણામે આજે અમારા બાળકો પણ સૈનિક સ્કુલમાં અભ્યાસ કરીને સૈનિક બનવા માટે આગળ વધી રહ્યા છે.