રોજગાર મેળામાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં પસંદ થયેલા ૧૮૭ ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરાયા
સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આવક વેરા વિભાગ દ્વારા ૧૫મો રોજગાર મેળો યોજાયો

સુરત : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઓક્ટોબર ૨૦૨૨માં ‘રોજગાર મેળા’ની શરૂઆત કરી – એક મહત્વાકાંક્ષી ભરતી પહેલ જેનો હેતુ દેશભરના ૧૦ લાખથી વધુ પાત્ર યુવાનોને તબક્કાવાર કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં રોજગારની તકો પૂરી પાડવાનો છે.
આ વિઝનને આગળ ધપાવીને, જોબ ફેરની ૧૫મી આવૃત્તિનું સમગ્ર ભારતમાં ૪૭ સ્થળોએ એક સાથે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૫૧ હજારથી વધુ યુવાનોને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં સેવા માટે નિમણુંક પત્રો એનાયત કર્યા હતા. ગુજરાતના આવકવેરા વિભાગ દ્વારા સુરત શહેરના સરસાણા કન્વેન્શન ખાતે આયોજીત ૧૫માં રોજગાર મેળો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત કર્મચારીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યા હતા. સુરતમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નવા ભરતી થયેલા ૧૮૭ ઉમેદવારોને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ‘રોજગાર મેળો’ આપણા યુવાનોને નવી ઉર્જા સાથે સરકારી નોકરીઓમાં જોડાવા માટે તક પૂરી પાડે છે, જે આપણા દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું કે, ૧૫મો જોબ ફેર એ યુવાનોને સશક્ત બનાવવા અને દેશના કાર્યબળને મજબૂત કરવા માટેનો બીજો સીમાચિહ્નરૂપ બનશે.
આ મેળામાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા, મેયર દક્ષેશ માવાણી, સાંસદ મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી તથા મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.