બિઝનેસ

ભારતમાં પ્રાદેશિક પરિવહન વિમાન ઇકોસિસ્ટમ સ્થાપવા અદાણી

ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને એમ્બ્રેયર વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત

નવી દિલ્હી, ૨૮ જાન્યુઆરી, ૨૦૨૬: ભારતના એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની મુખ્ય અગ્રણી કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને એરોસ્પેસ ક્ષેત્રમાં વિશ્વની પ્રતિષ્ઠિત એમ્બ્રેયર ભારતમાં એક સંકલિત પ્રાદેશિક પરિવહન વિમાન ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપનીઓનો હેતુ વિમાન ઉત્પાદન, સપ્લાય ચેઇન, આફ્ટર માર્કેટ સેવાઓ અને પાઇલટ તાલીમમાં રહેલી તકો માટે સહયોગી બની કાર્ય કરવાનો છે.

તદુપરાંત આ સહયોગી ઔદ્યોગિક ભાગીદારીના માધ્યમથી આત્મનિર્ભર ભારતની પહેલ અને ઉડાન પ્રાદેશિક કનેક્ટિવિટીના વિઝન સાથે તાલમેલ સાધી ભારતના પ્રાદેશિક પરિવહન વિમાન કાર્યક્રમને આગળ વધારવા સ્વદેશીકરણમાં તબક્કાવાર વધારો કરીને એસેમ્બલી લાઇન નિર્માણ કરવાનો હેતુ પણ રહેશે.

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના ડિરેક્ટર શ્રી જીત અદાણીએ જણાવ્યું હતું કે આર્થિક વિસ્તરણનો આધાર એવા પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રમાં ઉડાન જેવી પહેલો ટાયર ૨ અને ટાયર ૩ શહેરોમાં હવાઈ જોડાણને પરિવર્તિત કરી રહી છે તે સમયે સ્વદેશી પ્રાદેશિક ઉડ્ડયન ઇકોસિસ્ટમની જરૂરિયાત ખૂબ જ મહત્વપૂર્ણ બની રહી છે. જીત અદાણીએ ઉમેર્યું હતું કે આ સહયોગ ભારત અને બ્રાઝિલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા સાથે પૂરક ક્ષમતાઓને એક છત્ર હેઠળ સાથે લાવશે.

આ ભાગીદારી એમ્બ્રેયરની ડીપ એન્જિનિયરિંગ અને એરક્રાફ્ટ ઉત્પાદનની કુશળતાનો ફાયદો લેવા સાથે અદાણીની એવિએશન વેલ્યુ-ચેઇન ફૂટપ્રિન્ટનો પણ લાભ ઉઠાવશે જેમાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરોસ્પેસ ઉત્પાદન, MRO સેવાઓ અને પાઇલટ તાલીમનો સમાવેશ થાય છે.

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના પ્રમુખ અને સી.ઈ.ઓ શ્રી આશિષ રાજવંશીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ઉડ્ડયન તરફ પ્રયાણના એક સાહસિક પગલારુપે અમે ભારતના પ્રાદેશિક પરિવહન વિમાનની ઇકોસિસ્ટમને આકાર આપી રહ્યા છીએ, જે શહેરી-ગ્રામીણ વિભાજનને દૂર કરી ઉચ્ચ કૌશલ્ય રોજગારની તકો ઉત્પન્ન કરવા સાથે એરોસ્પેસના વૈશ્વિક ઉદ્યોગમાં ભારતનું સ્થાન ઊંચું કરે છે

સ્થાનિક માંગને ટેકો આપવા માટે પ્રસ્તાવિત ઇકોસિસ્ટમ તૈયાર છે તે સાથે એન્જિનિયરિંગ, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને સપોર્ટ સેવાઓના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉત્પન્ન કરે છે.

એમ્બ્રેયર કોમર્શિયલ એવિએશનના પ્રેસિડેન્ટ અને સી.ઈ.ઓ શ્રી અર્જન મેઇજરે જણાવ્યું હતું કે એમ્બ્રેયર માટે ભારત એક મુખ્ય બજાર ઉપલબ્ધ છે ત્યારે આ ભાગીદારી અદાણીની મજબૂત ઔદ્યોગિક ક્ષમતાઓ અને સ્વદેશીકરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે અમારી એરોસ્પેસ કુશળતાને જોડે છે. તેમણે ઉમેર્યું કે અમે ભેગા મળીને ભારતની RTA મહત્વાકાંક્ષાઓ અને અમલીકરણ માટેની સંભાવનાને ટેકો આપવા માટે સૌથી વ્યવહારુ, અદ્યતન અને કાર્યક્ષમ ઉકેલોનું મૂલ્યાંકન કરીશું.

એમ્બ્રેયર ભારતમાં લગભગ ૫૦ એમ્બ્રેયર એરક્રાફ્ટ અને ૧૧ પ્રકારના એરક્રાફ્ટ સાથે હાલમાં વાણિજ્યિક, સંરક્ષણ અને વ્યવસાયિક ઉડ્ડયન ઉપરાંત ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત એમ્બ્રેયર એરક્રાફ્ટમાં લેગસી ૬૦૦ એરક્રાફ્ટ અને એમ્બ્રેયર ERJ145 પ્લેટફોર્મ પર આધારિત ‘નેત્રા’ AEW&C એરક્રાફ્ટ કાર્યરત છે. તે સ્ટાર એર ૧૩ E175 અને ERJ145 એરક્રાફ્ટનો કાફલો ચલાવે છે. આ બાબત તેની ભારતમાં વધી રહેલી હાજરીના લાંબા ઇતિહાસનો પૂરાવો છે.

ઉલ્લેખનીય છે કે અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ ભારતની સૌથી મોટી સંકલિત ખાનગી સંરક્ષણ અને એરોસ્પેસ કંપની છે, જે રાષ્ટ્રીય સુરક્ષાની પ્રાથમિકતાઓ અને વૈશ્વિક જરૂરિયાતો સાથે સુસંગત વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ક્ષમતાઓનું નિર્માણ કરી સ્વદેશી એરોસ્પેસ અને યુએવી ઉત્પાદનને આગળ ધપાવે છે. દેશના સૌથી મોટા એમઆરઓ ઇકોસિસ્ટમ અને ઝડપથી વિકસી રહેલા પાઇલટ તાલીમ પ્લેટફોર્મ સાથે અદાણી ડિફેન્સ ભારતની ઉડ્ડયન મૂલ્ય શૃંખલાને એક છેડાથી બીજા છેડા સુધી મજબૂત બનાવી રહી છે. તેનો વૈવિધ્યસભર પોર્ટફોલિયો વિમાન, માનવરહિત પ્રણાલીઓ, એવિઓનિક્સ, શસ્ત્રો અને ટકાઉપણાને આવરી લે છે, જે લાંબા ગાળાની ક્ષમતા વિકાસ અને રાષ્ટ્રીય સ્વ-નિર્ભરતાના અનુસંધાનમાં જોડાયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button