VNSGU ખાતે એક વર્ષીય ‘સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન’નો શુભારંભ

સુરત: વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એક વર્ષીય ‘સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને અનુભવી સંપાદકોના માર્ગદર્શન હેઠળ ફિલ્ડ રિપોર્ટિંગ, ન્યૂઝ રાઇટિંગ, મીડિયા એથિક્સ, ડિજિટલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા આધુનિક વિષયોમાં વ્યવહારુ અને પ્રાયોગિક તાલીમ પૂરી પાડવાનો છે.
એક વર્ષીય કોર્સ બે સેમેસ્ટરમાં વહેંચાયેલો રહેશે. જેમાં ધો૧૦ કે ધો.૧૨ પાસ સાથે ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો પ્રવેશ મેળવી શકશે. તેમાં શિક્ષણનું માધ્યમ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં રહેશે. આ કોર્સ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને બી.એ.ના બીજા વર્ષમાં સીધો પ્રવેશ મેળવવાની વિશેષ તક પણ મળશે.

આ પ્રસંગે યુનિ.ના કુલપતિ ડૉ.કે.એન.ચાવડાએ જણાવ્યું કે, પત્રકારત્વ એ રોજેરોજ કંઈક નવું શીખવા અને અનુભવના વ્યાપને વધારવાનો વિષય છે. આ નવીન કોર્સનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને મીડિયા ક્ષેત્રના વ્યાવસાયિકોને આધુનિક પત્રકારત્વ અને ડિજિટલ મીડિયાના ક્ષેત્રમાં સક્ષમ બનાવવાનો છે.
કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન આપતા યુનિ.ના કુલસચિવ ડૉ.આર.સી.ગઢવીએ જણાવ્યું કે, પત્રકાર આખી જિંદગી વિદ્યાર્થી જ રહે છે. અને આ કોર્સ માત્ર પ્રમાણપત્ર મેળવવા માટે નહીં, પણ વિદ્યાર્થીને પુસ્તકની સાથે વ્યવહારુ જ્ઞાન આપવા માટે ઉપયોગી નીવડશે.
આ પ્રસંગે સુરતના અગ્રણી અખબારો અને ન્યૂઝ ચેનલોના તંત્રીશ્રીઓ તથા સંપાદકો સર્વશ્રી કૃષ્ણકાંત ઉનડકટ, મનોજ મિસ્ત્રી, મૃગાંક પટેલ, નરેશ વરિયા અને તેજસ મોદીએ પત્રકારત્વના ક્ષેત્રમાં તટસ્થતા, મહેનત, સંવેદના, સત્ય અને નૈતિકતાનું મહત્વ સમજાવી નવોદિત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.



