
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને જિતો (JITO) સુરત દ્વારા આયોજિત ‘વેલ્થ એક્ષ્પો 2026’ના પ્રથમ દિવસે દેશના નામાંકિત નાણાકીય નિષ્ણાતો અને સમાજશ્રેષ્ઠીઓએ રોકાણકારોને માર્ગદર્શન આપ્યું હતું.
જીઓ-પોલિટિકલ એક્સપર્ટ અને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના પૂર્વ સીબીઓ શ્રી કરણ દત્તાએ વૈશ્વિક રાજનીતિની બજાર પર થતી અસર વિશે વાત કરતા કહ્યું કે, અત્યારે દુનિયામાં ૨ એમએમની સેમિ-કન્ડક્ટર ચિપના વર્ચસ્વની લડાઈ છે, જેમાં ચીનનું પ્રભુત્વ ધરાવતા ‘રેર અર્થ’ ધાતુઓ મહત્વના છે. તેમણે ‘નેરેટિવ વોર’ સહિત યુદ્ધના વિવિધ પ્રકારો વિશે સમજાવતા કહ્યું કે, જો દેશ સુરક્ષિત હશે તો જ દેશની ઇકોનોમી અને સ્ટોક માર્કેટ સુરક્ષિત રહેશે.
વૈશ્વિક રાજનીતિ વિશે વાત કરતા તેમણે કહ્યું કે દરેક યુદ્ધ વખતે આપણને ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગે છે પણ મને લાગે છે કે “વિશ્વ અત્યારે સૌથી શાંતિમય યુગમાં પ્રવેશી રહ્યું છે. બની શકે કે આગામી પેઢીને કદાચ ત્રાસવાદ એટલે શું તેની ખબર પણ નહીં હોય”. તેમણે ઉમેર્યું કે ભારત અને ઇઝરાયલે જે રીતે આતંકવાદ સામે કામ કર્યું છે તેનાથી સ્ટેટ-સ્પોન્સર્ડ ટેરરિઝમ હવે સમાપ્ત થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, “આપણે અત્યારે ગ્લોબલાઈઝેશનમાંથી લોકલાઈઝેશન તરફ જઈ રહ્યા છીએ. જો તમે સાવચેતીપૂર્વક પોર્ટફોલિયો બિલ્ટ કરો તો આગામી 5 વર્ષમાં મોટો લાભ મળી શકે છે.” કેપિટલ કમિટીના એડવાઈઝર કેતનભાઈ દલાલે તેમનો પરિચય આપ્યો હતો.
જીવનનાં મૂલ્યોનું રોકાણ: પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા હિરિકૃષ્ણ એક્સપોર્ટ્સના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ સંપત્તિની સાથે સંસ્કારોના રોકાણ પર ભાર મૂક્યો હતો. તેમણે શાસ્ત્રોક્ત ઉદાહરણ આપતા કહ્યું કે, વ્યક્તિએ પોતાની પાસે રહેલી સંપત્તિ, સમજણ, શરીર અને સમય.. આ ચારેયનું 10% રોકાણ કે દાન કરવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, “જો આપણે વ્યક્તિગત ગુણોનું રોકાણ નહીં કરીએ તો અંતે પસ્તાવો થશે. પૈસા અને પ્રસિદ્ધિ એ તો માત્ર બાય-પ્રોડક્ટ છે, અસલી રોકાણ સમજણનું છે.” તેમણે દરેક વ્યક્તિને આજ કરતા કાલને બહેતર બનાવવાનો અને હસતા મુખે જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.



