ઉમરપાડામાં કાર્યરત સુપોષણ સંગીની અને આંગણવાડી કાર્યકર માટે તાલીમ યોજાઇ

ઉમરપાડા, સુરત : સુરત જિલ્લાના ઉમરપાડામાં વસતા આદિવાસી સમુદાયમાં સારા સ્વાસ્થ્ય અને પોષણને પ્રોત્સાહન આપવાના પ્રયાસરૂપે, અદાણી ફાઉન્ડેશનના સુપોષણ પ્રોજેકટ સમગ્ર તાલુકામાં ચલાવે છે. આ પ્રોજેકટ અંતર્ગત કાર્યરત સુપોષણ સંગીની અને સરકાર પ્રેરિત આંગણવાડી કાર્યકરોને પોષણ સંબંધિત વિશેષ તાલીમ સાથે આવશ્યક જ્ઞાનથી સશક્ત કરવા માટે છ દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન થયું હતું.
ફેબ્રુઆરીમાં ત્રણ તબક્કામાં યોજાયેલી તાલીમમાં બાળક અને માતાના સ્વાસ્થ્ય સંબંધિત વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બાળકના જન્મથી પ્રથમ ૧૦૦૦ દિવસના સમયગાળાનું બાળકના પોષણ અને સ્વાસ્થ્ય માટે મહત્વ વિશે, WASH પાણી અને સ્વચ્છતાનું મહત્વ, શિશુ અને નાના બાળકના ખોરાક જેવા વિષયો અંગે ચર્ચા આ તાલીમ કાર્યક્રમમાં થઈ હતી. આ તાલીમનો ઉદ્દેશ્ય આંગણવાડી કાર્યકરો અને સુપોષણ સંગિનીને સાધનો અને જ્ઞાનથી સજ્જ કરવાનો હતો જેથી તેઓ સમુદાયમાં જ્યાં કાર્ય કરે છે એ પરિવારોને વધુ સારી પોષણ પદ્ધતિઓ અને સ્વસ્થ જીવનશૈલી તરફ અસરકારક રીતે ટેકો આપી શકે અને માર્ગદર્શન આપી શકે.
આ ૬ દિવસીય તાલીમ માં ૭૫ સુપોષણ સંગીની બહેનો અને ૧૮૨ આંગણવાડી કાર્યકર બહેનોએ તાલીમ લીધી હતી. અદાણી ફાઉન્ડેશન સમુદાય આરોગ્ય પ્રણાલીઓને મજબૂત બનાવવા અને વંચિત વસ્તીના સુખાકારીમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે.