ગુજરાતસુરત

ધો.૮ પાસ ખેડૂતએ રાસાયણિક ખેતી છોડી જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો

વાલજીભાઈએ બે એકર જમીનમાં નજીવા ખર્ચે ૨૦થી વધુ પાકોનું ઉત્પાદન કરી વાર્ષિક રૂ.૧૨ લાખની આવક ઉભી કરી

સુરતઃ રાસાયણિક દવા અને યુરિયા ખાતરની ખર્ચાળ ખેતીને તિંલાંજલિ આપીને ખેડૂતો હવે મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલેઠી ગામના ખેડૂત વાલજીભાઈ રાયાભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી શરૂ કરીને સફળતા મેળવી છે. ખેડ અને ખાતર વગરની આ પ્રાકૃતિક ખેતી કરનાર વાલજીભાઈએ સૌપ્રથમ બે એકર જમીનમાં પ્રયોગ કરી ધાર્યું પરિણામ મેળવ્યું છે, ત્યારબાદ સતત સાત વર્ષથી જંગલ મોડેલ આધારિત ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. આ પદ્ધતિથી તેઓ નજીવા ખર્ચમાં એક જ જમીનમાં ૨૦થી વધુ પ્રકારના પાકોનું ઉત્પાદન લઈને વાર્ષિક રૂ.૧૨ લાખથી વધુની આવક મેળવી રહ્યા છે.

છેલ્લા સાત વર્ષથી જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારો પાક, વધુ ઉત્પાદન અને વધુ આવક મળતા હર્ષ સાથે ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ જણાવ્યું કે, નાનપણથી જ ખેતી પ્રત્યે લગાવ રહ્યો છે, જેમાં શાકભાજીની ખેતીમાં વધુ રસ લેતો અને શાકભાજીની માવજત જાતે જ કરતો. ધો.૮ સુધી અભ્યાસ કરી સીવણ ક્લાસમાં સીવણ શીખી દરજી કામ સાથે જોડાયો. જેના કારણે ખેતીમાંથી દૂર થયો. પરંતુ વર્ષ ૧૯૮૨માં દરજી કામ છોડી પરંપરાગત ખેતી કરવાનું નક્કી કરી ફરી એક વાર ખેતી તરફ વળ્યો. ત્યારબાદ વર્ષ ૨૦૧૭માં ખેતીને લગતી વિવિધ શિબિરોમાંથી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવ્યું. આત્મા પ્રોજેક્ટની શિબિર થકી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૧૮માં એક ગાય લાવી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી.

ખેડૂત વાલજીભાઈ ચૌધરી વધુમાં જણાવે છે કે,પહેલા રાસાયણિક ખેતીમાં આવક ન મળતાં જંગલ મોડેલ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો. જેમાં કોઈ ખેડ કર્યા વગર ખેતી કરવાની શરૂઆત કરી. આ ખેતીમાં બધા પાક એક સાથે વાવવાના હોય છે. જેથી મેં ખેતરમાં એકસામટા ૨૦ થી ૨૫ પાકનું વાવેતર કર્યું હતું. જેમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફ્રૂટની ખેતીનો સમાવેશ થાય છે. ફ્રૂટની ખેતીમાં દાડમ, ચીકુ, જામફળ, સીતાફળની સાથે શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. જુવાર, બાજરી, મકાઈ જેવા અનાજનું પણ વાવેતર કરી રહ્યો છું. સાથે ચોળી, મગ,અડદ જેવા કઠોળ પાક પણ છે. સામૂહિક પાકના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો અને પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન પણ વધુ મળી રહ્યું છે.

સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. જંગલ મોડલ આધારિત ખેતી માટેનું મોડેલ ફોર્મ બનાવવા સરકાર દ્વારા રૂ.૧૩,૫૦૦ ની સહાય પ્રાપ્ત થઈ છે. ઉપરાંત, ખેતરમાં પાકને પૂરતું પાણી મળી શકે એ માટે રૂ.૫ લાખના ખર્ચે સરકારી યોજના હેઠળ બોરીંગ કરી પાકો આર.સી.સી. સ્ટ્રકચર વાળો કુવો બનાવ્યો છે. રૂ.૧.૮૦ લાખના મિની ટ્રેક્ટરની ખરીદી પર સરકાર દ્વારા રૂ.૬૦ હજાર સબસિડી પ્રાપ્ત થઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button