
સુરત: મહિધરપુરા પોલીસને મળી આવેલી ૧૯ વર્ષની ખુશી (નામ બદલેલ છે)ના વાલી-વારસો, પરિજનો ન મળી આવતા આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં લાવવામાં આવી હતી. પોતાની ઈચ્છા વિરુદ્ધ પિતા દ્વારા મદ્રેસામાં મૂકી હોવાથી યુવતી ભાગીને સુરત આવી પહોંચી હતી. સતત ચાર દિવસ કાઉન્સેલિંગ બાદ યુવતીનું મૂળ એડ્રેસ તેમજ સોશિયલ મીડિયા થકી અન્ય વિગતો મળતા તેમના માતા-પિતાનો સંપર્ક કરી સેન્ટર દ્વારા દીકરીને માતા પિતા સાથે મેળાપ કરાવાયો હતો.
મૂળ દિલ્હીની રહેવાસી ખુશીને મદ્રેસામાં અભ્યાસ કરવાની ઈચ્છા ન હતી, જેથી તે ગુસ્સામાં ઘરેથી ભાગીને ટ્રેન દ્વારા સુરત આવી ગઈ હતી. યુવતીને માતા-પિતા સાથે રહેવું ન હોવાથી એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર જણાવતી ન હતી અને ગમગીન રહેતી હતી. ચાર દિવસ સેન્ટર પર સારી રીતે રહ્યા બાદ યુવતીએ સેન્ટરના લોકો પર વિશ્વાસ દાખવી ઘરનું સરનામું જણાવ્યું હતું. જેથી સુરત સખી સેન્ટર દ્વારા દિલ્હી પોલીસ અને દિલ્લી OSC સેન્ટરનો સંપર્ક કરાયો હતો. અને ખુશીના અન્ય સોશિયલ મીડિયાના મિત્રોનો ટેલિફોનીક સંપર્ક કર્યો હતો.
આઠ દિવસથી દીકરી હેમખેમ સુરત સખી સેન્ટરમાં હોવાની જાણ થતાં જ માતા-પિતા દીકરીને લેવા માટે દિલ્લીથી સુરત આવી પહોંચ્યા હતા. દીકરીને સુરક્ષિત જોઈ માતા-પિતાએ ભાવુક થઈ સેન્ટરના કર્મચારીઓને આભાર વ્યકત કર્યો હતો. સખી સેન્ટર દ્વારા દીકરીના માતા-પિતા સાથે ગ્રુપ મિટિંગ કરી દીકરીની યોગ્ય સારસંભાળ રાખવા અને તેની ઈચ્છા મુજબ તેને સારી સ્કૂલમાં અભ્યાસ કરવા સમજ આપી હતી. અંતે દસ દિવસે દરેક વિગતોની ખરાઈ કરી દીકરીનો કબજો સુરક્ષિત તેમના માતા પિતાને સોંપાયો હતો.
મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એન.ગામીત અને દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ ૧૯ વર્ષની દીકરીનું માતા-પિતા સાથે પુન:મિલન કરાવી પરિવારને વિખેરાતા અટકાવાયો હતો.