એજ્યુકેશનસુરત

ઓર્ગન ડોનેશન સંશોધન ક્ષેત્રમાં સુરતના સંશોધકોએ પ્રેરક અને જ્ઞાનવર્ધક રિસર્ચ પેપર રજૂ કર્યું

સુરતની નર્સિંગ ટીમના અંગદાન અંગેના સંશોધનપત્રને ‘હેલ્થ અને પ્રમોશન ઓફ હેલ્થ કેર’ કેટેગરીમાં ઉત્તમ સંશોધનપત્રનું બહુમાન

સુરતની વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા આયોજિત સસ્ટેનેબલ ફ્યુચર્સ: ઇન્ટરડિસિપ્લિનરી પર્સ્પેક્ટિવ્સ ઓન એજ્યુકેશનલ એન્ડ ટેકનોલોજી ૫.૦ (SFIPT) પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિવિધ ક્ષેત્રોના સંશોધનપત્ર રજૂ થયા હતા, જેમાં ટી એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગના પ્રિન્સિપાલ પ્રો. કિરણ દોમડિયાએ એક ગ્રાઉન્ડબ્રેકિંગ સંશોધન પત્ર રજૂ કર્યું હતું, જેને હેલ્થ અને પ્રમોશન ઓફ હેલ્થ કેર વિષય પર ઉત્તમ સંશોધનપત્રનું બહુમાન વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ ડો.વિપુલ શાસ્ત્રી અને રજિસ્ટ્રાર ડો.વિનિલ પારેખના હસ્તે મળ્યું છે. ‘યુવાનોમાં અંગદાનના જ્ઞાન અને ધારણા પર એક વ્યાપક અભ્યાસ’ વિષય પરનું આ સંશોધન સુરતની એમ.ટી.બી. આર્ટસ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પર કરાયું હતુ. જેમાં અંગદાન વિશે વધુ સમજણ અને સામાજિક જાગૃતિ દ્વારા યુવાનોને સશક્ત બનાવવા જેવા મુદ્દાઓ આવરી લેવાયા હતા.

સંશોધન ટીમમાં પ્રો.કિરણ દોમડિયા, ડો.ઈન્દ્રાવતી રાવ, ડો.વિનિલ પારેખ, ડો.મંજુનાથ સહિત સરકારી નર્સિંગ કોલેજના ચોથા વર્ષના નર્સિંગ વિદ્યાર્થીઓ; વિધિ પટેલ, નિધિ પટેલ, શ્રેયા પટેલ, ધર્મી પટેલ, હરિકૃષ્ણ નકુમ, વિશ્વા પટેલ, અને ઝીલ સહભાગી બન્યા હતા. પ્રિન્સિપાલ પ્રો. કિરણકુમાર દોમડિયાએ માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. ઉત્તમ સંશોધન માટે વિદ્યાદીપ યુનિ.ના પ્રમુખ શ્રી જયંતી પટેલ, ઉપપ્રમુખશ્રી ડો.હિરેન પટેલ, ડો.મંજુનાથ બેથએ અભિનંદન પાઠવ્યા હતા.

નોંધનીય છે કે, કિડની, લીવર, હૃદય, ફેફસા, સ્વાદુપિંડ, આંતરડા જેવા અંગો અને કોર્નિયા, ત્વચા, હાડકા, હૃદયના વાલ્વ અને રજ્જૂ(ટેંડન) જેવી પેશીઓ દાન કરી શકાય છે: એક બ્રેઈનડેડ દાતા પેશીઓના દાનથી ૮ જેટલા જીવન બચાવી શકે છે અને ૫૦થી વધુ જીવન સુધારી શકે છે. સંશોધનમાં નિમ્ન મુદ્દાઓને આવરી લેવાયા છે:-

અંગદાનના ઉદ્દેશ્યો:

૧. જીવન બચાવો: ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય તેવા દર્દીઓને નવું જીવન આપવું અને આયુષ્ય વધારવું
૨. સમાનતાને પ્રોત્સાહન: તબીબી તાકીદના આધારે સમાન અંગ વિતરણ સુનિશ્ચિત કરો.
૩. જાગૃતિમાં વધારો: અંગ પૂરવઠા અને માંગ વચ્ચેના અંતરને દૂર કરવા લોકોને શિક્ષિત કરો.
૪. સંમતિને પ્રોત્સાહન: લોકોને અંગદાન પ્રતિજ્ઞા લેવા અને બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાનના નિર્ણયોમાં પ્રોત્સાહિત કરો.

મર્યાદિત જાગૃતિ અંગદાનમાં અવરોધરૂપ

સુરત તેના પ્રગતિશીલ દૃષ્ટિકોણ માટે જાણીતું છે, ત્યારે દંતકથાઓ, સાંસ્કૃતિક માન્યતાઓ અને અંગદાનની ઓછી-મર્યાદિત જાગૃતિ અંગદાનમાં અવરોધરૂપ છે. NGO, હોસ્પિટલો અને જાહેર અભિયાનોના પ્રયાસોથી સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે.

દેશમાં અંગદાન દર ખૂબ ઓછો: પ્રતિ દસ લાખની વસ્તીમાં ૧નું અંગદાન

દેશમાં પ્રતિ દસ લાખની વસ્તીમાં ૧ નું અંગદાન થાય છે, એટલે કે અંગદાન દર ખૂબ ઓછો છે. દેશમાં વાર્ષિક ૫ લાખ અંગો સામે માત્ર ૧૫,૦૦૦ અંગોનું જ પ્રત્યારોપણ કરવામાં આવે છે. ૨૦૨૨-૨૩માં ૧૧,૪૨૩ કિડની પ્રત્યારોપણ, ૩૭૧૮ લીવર અને ૨૫૦ હૃદય પ્રત્યારોપણ થયા છે. ૧,૦૩,૦૦૦ લોકો વેઈટીંગ લિસ્ટમાં છે, જેમાં અંગ ઉપલબ્ધ ન હોવાને કારણે દરરોજ ૧૭ થી વધુ વ્યક્તિઓ મૃત્યુ પામે છે.

ગુજરાત અંગદાન જનજાગૃતિમાં દેશમાં અગ્રેસર: સુરતથી અંગદાન માટે થઈ રહ્યા છે નિ:સ્વાર્થ અને સક્રિય પ્રયાસો

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને ડોનેટ લાઇફ જેવી સંસ્થાઓ સક્રિયપણે અંગદાન ઝુંબેશ ચલાવે છે. સામાજિક ઉત્થાનના પ્રણેતા દિલીપભાઇ દેશમુખ તથા નર્સિંગ અગ્રણીશ્રી ઇકબાલ કડીવાલા, ડો.નિલેશ કાછડીયા, અન્ય સામાજિક મંડળો તથા શહેરના તબીબો અને નર્સિંગ સ્ટાફ અથાગ પ્રયાસો કરી સામાજિક જાગૃત્તિ લાવવા સાથે વિવિધ હોસ્પિટલો, પરિવારોને જોડે છે અને તેમને ઓર્ગન ડોનેશનના લાભો વિશે જાગૃત્ત-શિક્ષિત કરે છે. જાહેર સંપર્ક દ્વારા રેલીઓ, સાયકલ રેલી, સોશિયલ મીડિયા ઝુંબેશ અને શાળા-કોલેજોમાં કાર્યક્રમોથી જાગૃતિ ફેલાવે છે.

SOTTO, NOTTO અને અન્ય એજન્સીઓ સાથે પહેલરૂપ ભાગીદારી

અંગદાનમાં યુવાનોની ભાગીદારી અને સામાજિક શિક્ષણ, સતત જાગૃતિ, સહયોગ અને સુધારેલી પ્રક્રિયાઓ સાથે અંગદાનથી સેંકડો જીવન બચાવવા માટે SOTTO, NOTTO અને અન્ય એજન્સીઓ સાથે પહેલરૂપ ભાગીદારી કરવામાં આવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button