
હઝીરા-સુરત, એપ્રિલ 14, 2025: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) સુરતના આર્થિક વિકાસમાં ફક્ત મોટી ઉદ્યોગ કંપની તરીકે જ નહીં, પણ સલામતી વધારવા માટે જવાબદાર ભાગીદાર તરીકે પણ યોગદાન આપી રહી છે.
સુરતના મહત્વનો ઔદ્યોગિક વિસ્તાર ગણાતાં હઝીરામાં સ્થાપિત AM/NS Indiaએ ઉદ્યોગ વિકાસ સાથે જાહેર સલામતીની જવાબદારીને પણ મહત્વ આપ્યું છે અને હઝીર વિસ્તારની સુરક્ષાને મજબૂત બનાવવા માટે હજીરા એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (HADA) સાથે પણ નજીકથી કાર્ય કર્યુ છે.
હઝીરા વિસ્તારમાં ઉદ્યોગોનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જેની સાથે ઈમરજન્સી સજ્જતામાં પડકારો પણ વધ્યા છે. AM/NS India પોતાની ફાયર સર્વિસ ટીમની સાથે કંપની અને હજીરા વિસ્તારની સાથો-સાથ શહેરની ઈમરજન્સી વ્યવસ્થામાં મદદરૂપ થઈ રહ્યું છે.
થોડા સમય પૂર્વે સુરતના શિવ-શક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ દરમ્યાન, AM/NS Indiaની ફાયર સર્વિસ ટીમે સુરત ફાયર વિભાગ અને અન્ય ઉદ્યોગોની ટીમ સાથે ખભેથી ખભા મિલાવી આગ બુઝાવવામાં મદદ કરી હતી. આ આગને બુઝાવવા 30 કલાકનો લાંબો સમય લાગ્યો હતો, જેમાં હઝીરાની બધી મોટી ઉદ્યોગ કંપનીઓની ફાયર ટીમોએ મળીને કામ કર્યું હતું.
છેલ્લા 15 મહિનામાં હઝીરા અને તેના આસપાસના વિસ્તારમાં 15 જેટલી આગની ઘટનાઓ બની હતી. દરેક સમયે AM/NS Indiaની ફાયર ટીમ તાત્કાલિક પહોંચી અને સુરત ફાયર વિભાગ તથા અન્ય વિભાગો સાથે મળીને અકસ્માત બચાવ કામગીરી કરી છે.
પાછલા મહિનાઓમાં AM/NS Indiaની ફાયર ટીમે અનેક ઈમરજન્સી પરિસ્થિતિઓમાં સતત તંત્રને સમર્થન આપવાનો પ્રયત્ન કર્યો છે. 24 ફેબ્રુઆરી, 2024ના રોજ હઝીરા ગામ પાસે એક ડમ્પર પાર્ક કરેલા અન્ય વાહન સાથે અથડાયું હતું, ત્યારે AM/NS Indiaની ફાયર ટીમે SMC અને GAILની ટીમ સાથે મળીને ડ્રાઈવરને અકસ્માતગ્રસ્ત વાહનમાંથી બચાવવાની સાથો-સાથ તાત્કાલિક સારવાર અપાવવા સુધીની કામગીરીમાં સહાય આપ્યો હતો.
તે પ્રમાણે, 20 માર્ચ, 2025ના રોજ જળદેવી સર્કલ, હઝીરા પાસે ટેન્કર અને ટ્રેલર વચ્ચેના અકસ્માતમાં ડ્રાઈવરને બચાવી, તેને સમયસર સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
તદુપરાંત, 22 માર્ચે પોર્ટ ગેટ, હઝીરા સામે LPG ગેસ કટીંગ સેટમાં લાગેલી આગને ટીમે ઝડપી કાબૂમાં કરી અને સિલિન્ડર ફાટવાની શક્યતાઓને ટાળી હતી.
સંતોષ મુંધડા, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર, પ્રોજેક્ટ્સ – હજીરા અને ડેપ્યુટી CTO, AM/NS India જણાવે છે કે, “AM/NS Indiaમાં સલામતી સૌપ્રથમ છે અને દરેક માટે જરૂરી છે. સુરત એ અમારું ઘર છે અને જાહેર સુરક્ષા એ અમારી ફરજ તેમજ જવાબદારી છે. અકસ્માતમાં ફસાયેલા લોકોને બચાવવાનો મુદ્દો હોય કે આગ જેવી દુર્ઘટનાઓ અટકાવવાનો મુદ્દો હોય, અમારી ફાયર ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે. રાષ્ટ્રીય ફાયર સેવા સપ્તાહ થકી અમને તેમનો આભાર વ્યક્ત કરવાની યોગ્ય તક મળી છે.”
AM/NS India એપ્રિલ 14 થી 20, 2025 દરમિયાન રાષ્ટ્રીય ફાયર સેવા સપ્તાહ ઉજવી રહી છે, જેમાં પોતાની ફાયર ટીમના મહેનતી સભ્યો તથા ફરજમાં શહીદ થયેલા ફાયર ફાઇટર્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
હઝીરા ખાતે ઉજવણી થવા જઈ રહેલા ફાયર સેવા સપ્તાહ દરમિયાન વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરાઈ રહ્યું છે – જેવી કે જૂથ સ્પર્ધાઓ, આગ નિવારણ વિષયક ઑનલાઇન ક્વિઝ, શાળાના બાળકો માટે ફાયર સલામતીની માહિતી અને મોટા પાયે જન-જાગૃતિ કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
આ તમામ પ્રયત્નો AM/NS Indiaના સ્થાનિક સમુદાયની સલામતી અને કલ્યાણ માટેની સતત પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.