૨૩ માર્ચ શહીદ દિવસ: શહીદોની સ્મૃતિમાં રત્નકલાકારોની ‘રક્તાંજલિ’
સુરતની ૧૨૭ ડાયમંડ કંપનીઓએ યોજેલા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૨૦૫ યુનિટ રક્ત એકત્ર કરાયું

સુરત: દેશની આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચડનારા અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના અમર બલિદાનની સ્મૃતિમાં સુરતની ૧૨૭ ડાયમંડ કંપનીઓએ બ્લડ ડોનેશન કરી માનવતાની મહેક પ્રસરાવી છે. ૨૩મી માર્ચના ‘શહીદ દિવસ’ પૂર્વે આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૨૦૫ યુનિટ રક્ત એકત્ર કરી રત્નકલાકારો, પોલીસ, આર્મી જવાનોએ શહીદોને અનોખી રક્તાંજલિ અર્પી હતી.
સ્મીમેર હોસ્પિટલમાં રક્તની માંગને પહોંચી વળવા સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી નીલમાધવ ઈમ્પેક્ષ, રોયલ ઇમ્પેક્ષ અને સહયોગ ડાયમંડ સહિત ૧૨૭ ડાયમંડ કંપનીઓ સાથે લિટલ સ્ટાર હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી વરાછા વિસ્તારની માતાવાડી સ્થિત નીલમાધવ, રોયલ ઈમ્પેક્ષ અને સહયોગ ડાયમંડ ખાતે સવારથી જ રત્નલાકારો રકતદાન માટે ઉમટ્યા હતા. મેગા રક્તદાન કેમ્પમાં ડી. નવીનચંદ્ર એક્સપોર્ટ્સ, સાંનિધ્ય ડાયમંડ, ધનલક્ષ્મી ડાયમંડ, શેખડા એક્સપોર્ટ, ગોરસિયા બ્રધર્સ, એચ.એચ.ડી.જેમ્સ, ડી.પી.ઈન્સ્યોરન્સ સહિત વિવિધ કંપનીઓના રત્નકલાકારો, કર્મચારીઓએ દેશના વીરોની સ્મૃત્તિમાં રક્તદાન કર્યું હતું.
દેશભક્તિના સંગીતમય માહોલ વચ્ચે રત્નકલાકારો સહિત સેવાભાવી વ્યક્તિઓ ઉમળકાભેર રક્તદાન માટે આવ્યા હતા. સ્મીમેર બ્લડ બેંકના હેડ શ્રીમતી અંકિતા શાહના માર્ગદર્શનમાં ૨૭૦ યુનિટ રક્ત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલને અર્પણ કરાયું હતું. જ્યારે લોક સમર્પણ બ્લડ બેંકમાં ૩૪૧ યુનિટ અને કિરણ હોસ્પિટલની બ્લડ બેંકમાં ૫૯૪ યુનિટ રક્ત મળીને કુલ ૧૨૦૫ રક્ત એકત્ર કરીને અર્પણ કરાયું હતું.
ભારતીય સંસ્કૃતિમાં ‘દાન’નો મહિમા અનેરો છે, અને તેમાં પણ ‘રક્તદાન’ને સર્વશ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોએ રક્તદાન થકી સામાજિક કાર્ય સાથે રાષ્ટ્રપ્રેમને જોડ્યો છે. જ્યારે સરહદ પર સૈનિકો પોતાનું લોહી વહાવીને દેશની રક્ષા કરે છે, ત્યારે શહેરના આ રત્નકલાકારો રક્તદાન દ્વારા સામાન્ય નાગરિકોના જીવ બચાવીને ‘અદ્રશ્ય સૈનિક’ની ભૂમિકા ભજવી રહ્યા છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રસેવાની ભાવનાથી ૧૦ વર્ષ પહેલા એક કંપનીથી શરૂ થયેલા રક્તદાન કેમ્પની પરંપરામાં આજે ૧૨૭ કંપની જોડાઈ છે. સેવાકીય પ્રવૃતિઓમાં શહીદોના પરિવારોનું સન્માન, વૃક્ષારોપણ, અંગદાન મહાદાન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સહિત ગામડાઓમાં તળાવો બનાવવાના સંકલ્પ લઇને નીલમાધવ પરિવારે સુરતની ડાયમંડ કંપનીઓને આ સેવાકાર્યોમાં જોડી છે.
આ પ્રસંગે પૂર્વ મેયર દક્ષેશભાઈ માવાણી, SVNITના ડો.ભરતભાઈ ધોળકિયા, રિટાયર્ડ આર્મી ઓફિસર્સ અને સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળના ઓફિસર્સ સહિત અગ્રણીઓ, ૧૨૭ ડાયમંડ યુનિટના માલિકો, રત્નકલાકારો, પોલીસ સ્ટાફ, તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત શહેરીજનો કેમ્પમાં જોડાયા હતા.



