ચૈતર વસાવા અને ગોપાલ ઈટાલિયાએ ભરૂચના પુરને ભાજપ સર્જિત પુર ગણાવ્યું

ભરૂચ : આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહ પ્રભારી ગોપાલભાઈ ઇટાલીયા તથા ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તથા ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલભાઈ ઇટાલીયાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પુર આવ્યું હતું. તે સમય પર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ લોકોની ખૂબ જ સેવા કરી હતી અને લોકો માટે અવાજ પણ ઉઠાવ્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે આ કુદરતી કારણોથી પૂર આવ્યું નથી, પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલા ગંભીર ષડયંત્રના ભાગરૂપે પુર આવ્યું છે.
હાલ ભારત સરકારની એક સંસ્થા નર્મદા કંટ્રોલિટી ઓથોરિટીએ સમગ્ર મામલાની તપાસ કરી હતી અને અહેવાલ આપ્યો હતો તે અહેવાલની માહિતી સૂત્રોના માધ્યમ દ્વારા સામે આવી હતી. આ અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જો 12 કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત, તો અંકલેશ્વર અને ભરૂચનું પુર અટકાવી શકાયું હોત અને જાનમાલની નુકસાની પણ અટકાવી શકાઇ હોત. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ રીતે ગંભીર પ્રકારની અને ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના નેતા ચૈતરભાઈ વસાવા હંમેશા ભરૂચ લોકસભા અને ભરૂચ નર્મદા વિસ્તારના ખેડૂતોની સાથે હોય છે. જંત્રીની બાબત હોય કે નેશનલ હાઈવેના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન થયું તેમાં વળતરનો પ્રશ્ન હોય કે ભાજપ સર્જિત પૂરના કારણે જે જમીન ધોવાણનો પ્રશ્ન હોય, તેવા તમામ પ્રશ્નો ચૈતરભાઈ વસાવા અને આમ આદમી પાર્ટી ઉઠાવે છે અને ખેડૂતોની સાથે છે. ભવિષ્યમાં પણ આવા પ્રશ્નોમાં આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ વસાવા ખેડૂતોની સાથે રહેશે. આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરના માધ્યમથી માંગણી કરી છે કે જે લોકોના કારણે આ માનવસર્જિત પુર આવ્યું છે તેમને કઠોરમાં કઠોર સજા કરવામાં આવે. જો આ બાબતમાં પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં કાનૂની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ.