ગુજરાતસુરત

ઉદ્યોગ ગૃહો સિવાય તમામ બિલ્ડિંગોએ ફાયર NOC મેળવવી ફરજીયાત છે : એલ.કે. ડુંગરાણી

‘ફાયર સેફટી સર્ટિફિકેટ (NOC)ની સ્પષ્ટતા’અંગે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવાના હેતુથી સેમિનાર યોજાયો

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુરૂવાર, તા. ૧૩ જૂન, ર૦ર૪ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે, સેમિનાર હોલ– એ, સરસાણા, સુરત ખાતે ‘ફાયર સેફટી સર્ટિફિકેટ (NOC)ની સ્પષ્ટતા’ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના નિવૃત્ત ડેપ્યુટી ડાયરેકટર અને LKD ઈન્ડિયા ગૃપના ચેરમેન શ્રી એલ.કે. ડુંગરાણીએ ઉદ્યોગ સાહસિકોને ફાયર સેફટી સર્ટિફિકેટની વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અગ્નિ હોનારતની અનેક ઘટનાઓ બની ચૂકી છે. જેમ કે હાલમાં જ બનેલ રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની આગની ઘટનામાં ૩૩ લોકો, સુરતમાં બનેલ તક્ષશિલા અગ્નિકાંડમાં રર માસૂમ બાળકો, સાથે જ વિવિધ ઉદ્યોગોમાં લાગેલી આગની ઘટનાઓમાં ૧૦થી વધુ લોકોના પ્રાણ રૂંઢાયા હતા.

ભારતમાં પ્રતિદિન ૬૦ લોકો ફાયરની નાની મોટી દુર્ઘટનામાં મૃત્યુ પામે છે

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો અનુસાર, ભારતમાં પ્રતિદિન ૬૦ લોકો ફાયરની નાની મોટી દુર્ઘટનામાં મૃત્યુ પામે છે, જ્યારે પ્રતિ વર્ષ રપ,૦૦૦ લોકો આગની ઘટનાના કારણે મૃત્યુ પામે છે. જેમાંથી ૬૬% મૃતકોમાં મહિલાઓ હોય છે. વર્ષ ર૦૧૧માં સૌથી વધુ ર૪,પ૭૬ લોકોએ આગના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. દેશમાં મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ લોકો આગના કારણે જીવ ગુમાવે છે. જેથી કરીને આગની ઘટનાઓથી બચવા માટે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઇએ તે અંગેની માહિતી ઉદ્યોગકારોને આપવાના હેતુથી સેમિનાર યોજાયો હતો.

વકતા એલ.કે. ડુંગરાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં ઔદ્યોગિક એકમોમાં ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવેલપમેન્ટ વિભાગના તા. ૦૮/૦૭/ર૦ર૧ના ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઈફ સેફટી એકટના ઠરાવ અન્વયે ફાયર NOC/ ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવામાંથી મુક્તિ અપાઈ છે. ઔદ્યોગિક એકમો માટે સલામતી વિષયક ગુજરાત સરકારના બે વિભાગો બે કાયદા હેઠળ સત્તા ધરાવે છે. જે પૈકી ડાયરેકટર ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ કારખાના ધારા ૧૯૪૮ અને તે અન્વયે ઘડાયેલા નિયમો અંગેની કાર્યવાહી કારખાના ધારા હેઠળ નોંધણી થયેલા કારખાનાઓમાં જ સત્તાધિકાર ધરાવે છે. આ કાયદા હેઠળ અગ્નિ સુરક્ષા અંગે ફક્ત પ્રાથમિક કક્ષાની જોગવાઈ કરવામાં આવે છે.

જ્યારે ડાયરેકટર ફાયર અને ઈમરજ્ન્સી સર્વિસિસ ડિપાર્ટમેન્ટ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફટી મેઝર્સ ર૦૧૩, તે અંગે ઘડાયેલા નિયમો ર૦૧૪, રેગ્યુલેશન ર૦૧૬ અને ત્યારબાદ વારંવાર કરાયેલા સુધારા અંગેની વિવિધ જોગવાઈઓનું પાલન કરવાની સત્તા ધરાવે છે.

ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવેલપમેન્ટ વિભાગના ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફટી મેઝર્સ રૂલ્સ ર૦૧૪ના નિયમ ૧૪ હેઠળના થર્ડ શેડયુલના તારીખ રર જાન્યુઆરી ર૦ર૧થી ૭ જુલાઈ, ર૦ર૧ સુધી રહેણાંક, હોટેલ, રેસ્ટોરન્ટ, સિનેમા ગૃહ, મોલ, હોસ્પિટલ, સ્કુલ, સ્ટોરેજ, કોમેર્શિયલ બિલ્ડિંગ, વ્યાપારી ગૃહ તથા ઉદ્યોગ ગૃહોને NOC લેવાનું– આપવાનું ફરજિયાત હતું. પરંતુ તા. ૦૮.૦૭.ર૦ર૧ના ઠરાવના ટાઉન પ્લાનીંગ અને અર્બન ડેવેલપમેન્ટ વિભાગના ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફટી મેઝર્સ રૂલ્સ ર૦૧૪ના નિયમ ૧૪ હેઠળના થર્ડ શેડયુલમાંથી ઔદ્યોગિક ગૃહોને બાકાત રાખતા ફાયર NOC / ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવાની જરૂરિયાત રહેતી નથી.

જે જગ્યામાં મેન્યુફેકચરીંગ થતું હોય તેવી તમામ જગ્યાઓને ઉદ્યોગ ગૃહો તરીકે ગણવામાં આવે છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફટી મેઝર્ઝ રૂલ્સ ર૦૧૪ના નિયમ ર૦૧૪ થર્ડ શેડયુલમાંથી ઉદ્યોગ ગૃહોનો સમાવેશ ના હોય ઉદ્યોગ ગૃહો માટે NOC ઇશ્યુ કરનાર કોઈ સત્તાધિકારી નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button