અદાણી જૂથ કેરળમાં ₹ 30,000 કરોડનું રોકાણ કરશે, કેરલ ગ્લોબલ સમિટમાં જાહેરાત
સિમેન્ટ ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ સેન્ટર પર ફોકસ

ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી જૂથ દક્ષિણ ભારતમાં ₹ 30,000 કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. આ તમામ રોકાણ આગામી 5 વર્ષમાં કેરળ રાજ્યમાં કરવામાં આવશે. અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ ઇન્વેસ્ટ કેરળ ગ્લોબલ સમિટમાં જણાવ્યું હતું કે, “અમે ₹ 20,000 કરોડનું વધારાનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અદાણી જૂથ પહેલેથી જ કેરળમાં વિઝિંજમ પોર્ટ વિકસાવી રહ્યું છે.”
અદાણી જૂથ કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં એરપોર્ટનું સંચાલન કરી રહ્યું છે. અદાણી જૂથ રાજ્યમાં તેની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતાનો વિસ્તાર કરશે તેમજ લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ સેન્ટર વિકસાવશે.
ગૌતમ અદાણીનું જૂથ વિઝિંજમ પોર્ટ વિકસાવી રહ્યું છે અને તે પહેલાથી જ ₹ 5,000 કરોડનું રોકાણ કરી ચૂક્યું છે. કરણ અદાણીએ જણાવ્યું હતું કે જૂથ ₹ 5,500 કરોડના રોકાણ સાથે તિરુવનંતપુરમ એરપોર્ટની ક્ષમતા વાર્ષિક 45 લાખ મુસાફરોથી વધારીને 1.2 કરોડ મુસાફરો કરશે. તેમણે કહ્યું કે કોચીમાં લોજિસ્ટિક્સ અને ઈ-કોમર્સ સેન્ટર પણ સ્થાપવામાં આવશે. આ સિવાય કોચીમાં સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવશે. એકંદરે, અદાણી જૂથ આગામી પાંચ વર્ષમાં અહીં વધુ ₹ 30,000 કરોડનું રોકાણ કરશે.
અદાણી પોર્ટફોલિયો, ભારતના સૌથી મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર જૂથે ડિસેમ્બર 2024 ના રોજ પૂરા થતા 12 મહિના માટે ₹86,789 કરોડનો તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ટ્રેઈલિંગ ટ્વેલ્વ મંથ (TTM) EBITDA નોંધાવ્યો છે. વાર્ષિક ધોરણે 10.1%નો વધારો થયો છે, જ્યારે અગાઉની આવકને બાદ કરીએ તો આ વધારો 21.3% થયો છે.
કંપનીના જણાવ્યા અનુસાર માત્ર ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY25)માં EBITDA 17.2% વધીને ₹22,823 કરોડ થયો છે. અદાણી એન્ટરપ્રાઈઝ હેઠળ ઉભરતા વ્યવસાયો જેમ કે સૌર અને પવન ઉત્પાદન, એરપોર્ટ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયોએ જૂથના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
અદાણી ગ્રુપે તેના બિઝનેસ પોર્ટફોલિયોમાં ઉત્કૃષ્ટ કામગીરી દર્શાવીને ફરી એકવાર સાબિત કર્યું છે કે ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તેની મજબૂત પકડ છે. કેપેક્સ વધારીને અને રોકડ પ્રવાહ પર ધ્યાન કેન્દ્રિત કરીને, કંપની ભવિષ્યમાં વધુ મજબૂત બનશે.
શુક્રવારે ટ્રેડિંગ સેશનમાં સમગ્ર માર્કેટમાં સુસ્તી હોવા છતાં અદાણી જૂથના શેરોમાં જોરદાર કારોબાર થયો હતો. તેનું કારણ રોકાણકારોની હકારાત્મકતા અને કેટલાક ક્ષેત્રોમાં ખરીદીમાં વધારો હોઈ શકે છે. અદાણી જૂથના શેરમાં સૌથી મોટો ઉછાળો અદાણી એનર્જી સોલ્યુશન્સમાં જોવા મળ્યો, જે 2.01%ના પ્રભાવશાળી વધારા સાથે ₹691.65 પર ટ્રેડ કરી રહ્યો હતો. ત્યારબાદ અદાણી ગ્રીન એનર્જી 1.08% ના વધારા સાથે ₹874.30 પર રહ્યો હતો.