
સુરતના નાની વેડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના ધો. ૬ – ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી જાગૃત્ત મહેશભાઈ રીબડીયાએ “શ્રીમદ્ ભગવદ્ ગીતા”ના ૭૦૦ શ્લોક કંઠસ્થ કરીને અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ માત્ર જ્ઞાનની જ નહીં, પણ ધાર્મિકતા અને સંસ્કારોના સંગમની પ્રતીક છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના “સદ્દવિદ્યા મહોત્સવ, વાલી તથા વિદ્યાર્થી સંમેલન” પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા સાથે વિદ્યાર્થી જાગૃતનું ગર્વભેર સન્માન કર્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, જ્યાં શાસ્ત્રનો સાથ હોય અને ધાર્મિકતાનો આધાર મળે, ત્યાં શિક્ષણ માત્ર જ્ઞાન પ્રદાન કરતું નથી, તે સંસ્કારોની શિખર સુધી પહોંચાડે છે. ગુજરાતમાં શિક્ષણમાં પરિવર્તન આવી રહ્યું છે અને આજે ધાર્મિકતા સાથે ગર્વભેર દીકરા-દીકરીઓ તૈયાર થઈ રહ્યા છે. જાગૃત્તની આ સિદ્ધિ એ શિક્ષણ અને ધાર્મિકતાના સંગમનું ઉત્તમ ઉદાહરણ છે.
વધુમાં આ સિદ્ધિની પ્રશંસા કરતા જણાવ્યું કે, ગુજરાતના શિક્ષણતંત્રમાં નૈતિક મૂલ્યો અને ધાર્મિકતાનો સમાવેશ થઈ રહ્યો છે, જે આપણા યુવાનોને મજબૂત ચારિત્ર્ય અને આધ્યાત્મિક જ્ઞાન સાથે ઉચ્ચ શિખરો પર પહોંચાડશે.
આ અવસરે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાએ જાગૃત મહેશભાઈ રીબડીયાની આ સિદ્ધિ માટે ગુરુકુલના પૂજ્ય સંતો, તેમના માતા-પિતા અને શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યા. આ સિદ્ધિ ગુજરાતના શિક્ષણતંત્રમાં નવી ઊર્જા અને પ્રેરણા લાવશે તેવી આશા રાજ્ય શિક્ષણ મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.